Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સુરતના વરાછામાં પત્નીને કોરોના થતા અલગ રહેવાનું આવતા નાસીપાસ થયેલ વૃદ્ધ પતિએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરમાં વરાછાના વૃધ્ધાને કોરોના થતા સંબંધીના ઘરે હોમઆઇસોલેટ કર્યા હતા.જોકે પત્નીથી અલગ  રહેવાનું આવતા વૃધ્ધ પતિ નાસિપાસ થઇ ગયા હતા અને  સોમવારે સવારે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછા ઝોન પાસે દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા ૭૫ વર્ષીય છગનભાઇ ભગવાનભાઇ કોટડીયાએ સોમવારે સવારે ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી.આ અંગે તપાસ કરનાર વરાછા પોલીસ મથકના એ.એસ.આઇ રાજેન્દ્રભાઇએ કહ્યુ કે છગનભાઇ મુળ અમરેલીના લાઠીના કેરાલગામના વતની હતા. તે તેમની પત્ની સાથે રહેતા હતા અને નિવૃત જીવન ગાળતા હતા. પત્નીને કોરોના થયો હતો અને તેમનો પોતાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.આવા સંજોગોમાં તેમની પત્નીને સંબંધીના ઘરે આઇસોલેશન કર્યા  હતા.જેથી છગનભાઇ ઘરે એકલા હોવાથી ટેન્શનમાં રહેતા હતા. પત્ની અલગ હોવાથી એકલતા અનુભવતા છગનભાઇએ તેમના ભત્રીજાને ફોન કર્યો કે જીંદગી જીવી ગયો છુ.જેથી ભત્રીજો તરત ત્યાં પહોચ્યો હતો.ત્યારે તે ફાંસો ખાધેલી હાલતમાં મળતા તે હેબતાઇ ગયો હતો.આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:07 pm IST)