Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજપીપળામાં પેવર બ્‍લોકની કામગીરીનો લતાવાસીઓએ સખત વિરોધ કર્યો હોવા છતાં ખાતમુહૂર્ત કરીને કામગીરી શરૂ કરાતા પાલિકા ભાજપના પૂર્વ સત્તાધીશો સામે રોષ

રાજપીપળા: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં રાજપીપળા વોર્ડ નંબર 7 રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોક કામગીરીનું કામ મંજૂર થયુ હતું. હવે પેવર બ્લોકની કામગીરીનો રહીશોએ સખત વિરોધ કર્યો હોવા છતાં ખાતમુહૂર્ત કરાયું અને કામગીરી ચાલુ કરાઈ, પણ અંતે કામગીરી અધવચ્ચે બંધ થઈ જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોક નાખવા માટે કોન્ટ્રાકટરે 8/12/2020 થી ખોદકામ ચાલુ કર્યું હતું, ખોદકામ પતી ગયું હોવા છતાં બ્લોક બેસાડવાની કામગીરી કેમ બંધ છે? એ પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.

રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારી પરાક્રમ મકવાણાએ જણાવ્યું કે, અમુક ટેક્નિકલ કારણોસર કામગીરી બંધ કરવા અમે કોન્ટ્રાકટરને જણાવ્યું હતું. આમ છતાં ખોદકામની કામગીરી ચાલુ કરતાં લોકો વધુ હેરાન ન થાય એ માટે આગળની કામગીરી બંધ રાખવા કોન્ટ્રાકટરને 2 વાર લેખિત નોટિસ આપી છે. ટેકનીકલ પ્રોબ્લેમ સોલ્વ થયા બાદ અને R&B માંથી રિવાઈઝ તાંત્રિક મંજૂરી મળ્યા બાદ કામગીરી ચાલુ થશે.

હવે રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીના આ નિવેદન બાદ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કયા નેતાની છત્રછાયા હેઠળ કોન્ટ્રાક્ટરે આ કામગીરી ચાલુ કરી? રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીએ કામગીરી બંધ કરવાનું જણાવ્યા હોવા છતાં પાલિકાના આદેશની ઉપરવટ જઈ કામગીરી ચાલુ કરવા આદેશ કોણે આપ્યો? એ ચર્ચાનો વિષય બન્યો છે.

જેણે પણ કામગીરી ચાલુ કરવા આદેશ આપ્યો હશે એને લીધે જ હાલ તો રાજેન્દ્ર નગર સોસાયટીની પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે, વહેલી તકે કામગીરી ચાલુ થાય એમ લોકો ઈચ્છી રહ્યા છે.

રાજપીપળા પાલિકા સત્તાધીશોની પેવર બ્લોક કામગીરી ચાલુ કરવાની જીદ વચ્ચે પ્રજા પીસાઈ રહી છે, તો બીજી બાજુ તિરુપતિ કન્સ્ટ્રક્શનના ગિરીશ ભાઈએ જણાવ્યું હતું કે હું તો કામગીરી કરવા ચાહું જ છું પણ મને પાલિકાએ કામગીરી બંધ રાખવા નોટિસ આપી છે.

અગાઉ ટેન્ડરમાં પેવર બ્લોકની જે ક્વોલિટી માંગી હતી એ મુજબ મેં ટેન્ડરના ભાવ ભર્યા, ટેન્ડરનો વર્ક ઓર્ડર મળી ગયા પછી મને બીજી સારી ક્વોલીટીના પેવર બ્લોક નાખવા મને જણાવાયું તો ત્યાં પણ હું સહમત થયો.હવે નવા ભાવ મુજબ રિવાઈઝ તાંત્રિક મંજૂરી માટે રાહ જોવાઈ રહી છે.

રહેણાંક વિસ્તારમાં M 250 ક્વોલિટીના બ્લોક નિયમ વિરુદ્ધ

સરકારી નિયમ મુજબ રહેણાંક વિસ્તારમાં પેવર બ્લોક નાખવા હોય તો M 400 ની ક્વોલિટીના હોવા જોઈએ. હવે રાજપીપળા પાલિકાએ જે ટેન્ડર ઇશ્યુ કર્યું એમા પેવર બ્લોકની ક્વોલિટી M 250 ની માંગી હતી. જે ખરેખર સરકારી નિયમ વિરુદ્ધ કહેવાય.

ટેન્ડર પાસ થયા પછી એ જ મુદ્દો આવ્યો. હાલ M 400 ક્વોલિટીના પેવર બ્લોક નાખવા માટેની કામગીરીને લીધે કામ બંધ પડ્યું છે.જો પહેલેથી જ ટેન્ડરમાં M 400ની ક્વોલિટી માંગી હોત તો અત્યારે એ પ્રશ્ન આવત જ નહીં.

(5:34 pm IST)