Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ક્રિશ્ચિયન પતિનું હિન્દુ પત્નિ પર ધર્મ બદલવા અત્યાચાર

પરિણિતાની પોલીસ સ્ટેશનમાં પતિ વિરૃધ્ધ ફરિયાદઃ ધર્મ બદલવા દબાણ અને અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો : પોલીસની આરોપી પતિ સામે તપાસ શરૂ

અમદાવાદ, તા.૫, શહેરના કાંકરિયા વિસ્તારમાં રહેતી એક હિંદુ પરિણિતાને તેના ક્રિશ્ચિયન પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી ધર્મ બદલવા ત્રાસ અને અત્યાચાર ગુજારાતાં કંટાળેલી પરિણિતાએ આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની વિગત એવી છે કે, શહેરના કાંકરિયા વિસ્તારમાં રહેતી યુવતીએ વર્ષ ૨૦૧૩માં સીટીએમ ખાતે રહેતા ક્રિશ્ચિયન યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ છ મહિના સુધી તેની પત્નીને સારી રીતે રાખી હતી પરંતુ ત્યારબાદ દારૃ પીને ઘેર આવીને ગાળાગાળી કરવી, શારીરિક માનસિક ત્રાસ સામાન્ય બની ગયો હતો. છેલ્લા ઘણા સમયથી તેના પતિ દ્વારા આ હિંદુ પરિણિતાને ધર્મ બદલવા માટે ભયંકર હદે શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો. લગ્નજીવન દરમ્યાન તેમને એક પુત્રનો પણ જન્મ થયો હતો, જેના કારણે પરિણિતા આ અત્યાચાર સહન કરતી હતી પરંતુ પોતાના પતિને અન્ય કોઇ યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં પતિ-પત્ની વચ્ચેનો મામલો વણસ્યો હતો. સગાસંબંધીની સમજાવટ છતાં પતિ તરફથી સતત અને અસહનીય માનસિક શારીરિક ત્રાસ ચાલુ રહેતાં કંટાળીને હિંદુ પરિણિતાએ ક્રિશ્ચિયન પતિ વિરૃધ્ધ મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:11 pm IST)