Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

હીરા કારખાનામાં પાંચમીથી દિવાળી રજાની જાહેરાત થઇ

ગુજરાત એસટી તંત્ર દ્વારા પણ રત્ન કલાકારો માટે વિશેષ પ્રકારે ૫૦૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે

અમદાવાદ,તા.૫: દિવાળીના આડે હવે એક મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે હીરાના કારખાનાંઓમાં આગામી તા.૫ નવેમ્બરથી ૨૦ થી ૩૦ દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે. જેને લઇ હીરાના કારખાનાઓમાં કામ કરતાં કારીગરોએ દિવાળી વેકેશનને લઇ આગોતરી તૈયારીઓ આરંભી છે. ખાસ કરીને દિવાળી વેકેશનના તહેવારોમાં માદરે વતન જવા માટે કારીગરો ભારે તલપાપડ બન્યા છે. નોટબંધી અને જીએસટીની અસરના કારણે રાજયના ડાયમંડ માર્કેટમાં પણ મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને હીરા ઉદ્યોગ તેમાંથી ધીરે ધીરે બહાર નીકળી રહ્યો છે. સાથે સાથે કારીગરોને પણ આ મંદીની થપાટની અસર થઇ હતી. ખાસ કરીને,  ડોલરના સતત વધતા ભાવ અને પોલિશ ડાયમંડની ઓછીના માંગના કારણે હીરાના કારખાનેદારોની હાલત હાલ બહુ સારી નથી.  જો કે, આર્થિક કટોકટી અને કપરા સંજોગો વચ્ચે પણ રત્નકલાકારો દર વર્ષે દિવાળીના તહેવારોની ઉજવણી કરવા માદરે વતન ખાસ જતા હોય છે અને તે માટે તેમનું વિશેષ વેકેશન જાહેર કરાતું હોય છે. આ વખતે પણ આગામી તા.૫મી નવેમ્બરથી એક મહિના સુધીનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. રત્નકલાકારોના દિવાળીમાં વેકેશનમાં વતનમાં જવા માટે એસટી દ્વારા ૫૦૦ બસો દોડાવાશે. અગાઉ એસટી બસોમાં ભાડાવધારો ૬૫ ટકા હતો, જે આ વર્ષે ઘટાડાયો છે. ૫૧ વ્યક્તિનું બુકિંગ થાય તો સ્પેશિયલ બસ જે તે ગામ સુધી દોડાવવાની તૈયારી એસટી વિભાગે કરી લીધી છે. દિવાળીના વેકેશન પછી મંદીના કારણે કારખાનાં શરૂ થશે કે કેમ? એ બાબતે રત્નકલાકારોમાં કચવાટ છે. આ અંગે સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગની પરિસ્થિતિ ઘણી નાજુક છે. દિવાળી પછી રત્નકલાકારોને બેરોજગાર ન થવું પડે તે માટેના પ્રયાસ અત્યારથી શરૂ કરી દેવાયા છે. જો ગ્રૂપ બુકિંગની પૂરતી ૫૧ સીટની વ્યવસ્થા થશે તો રત્નકલાકારોના ઘરઆંગણેથી એસ.ટી. ઉપડશે.

ભાડાં રૂ. ૨૪૦થી શરૂ કરીને રૂ. ૩૧૦ સુધીનાં રહેશે. આજ સ્થળોએથી વેકેશન બાદ સુરત પરત આવવા પણ બસગોઠવાશે. દિવાળી વેકેશન જાહેર થતાં જ રત્ન કલાકારોમાંભારે ઉત્સાહની લાગણી ફેલાઇ છે.

(10:20 pm IST)