અમદાવાદ તા. ૫ પવિત્ર શ્રાવણમાસમાં, મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં, શા.માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે ચાલી રહેલ જ્ઞાનસત્રમાં ગુજરાત રાજ્યના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધારતા ગુરુકુલના પરિસરમાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ભકતવત્સલદાસજી સ્વામીએ તથા શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામીએ હાર પહેરાવી શરણાઇના સુર સાથે સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રતજી તથા તેમના ધર્મપત્ની દર્શનાદેવીના હસ્તે આશરે ૨૦૦ દીકરીઓને શિક્ષણ સહાય આપી ગૌરી પૂજન કરવામાં આવ્યું હતું.
સ્વાગત બાદ રાજ્યપાલશ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી સભામાં પધાર્યા ત્યારે વ્યાસ ગાદી પર આરુઢ થયેલ વક્તા શ્રી શા.માધવપ્રિયદાસજી સ્વામીને રાજ્યપાલશ્રીએ હાર પહેરાવી પૂજન કર્યુ હતું અને શા. માધવપ્રિયદાસજી સ્વામીએ રાજ્યપાલશ્રીને હાર પહેરાવી સ્વાગત કર્યું હતુ.
શા.માધવપ્રિયદાસજી સ્વામીઅે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતુ ગુરુકુલમાં ચાલી રહેલ જ્ઞાનસત્ર અંતર્ગત ગૌરી પૂજન પ્રસંગે આદરણીય શ્રી રાજ્ચપાલ ગુરુકુલ પધારતા અમો હાર્દિક સ્વાગત કરીએ છીઓ.
આજથી ૭૦ વર્ષ પહેલા ગુરુકુલના આદ્યસંસ્થાપક શા્સ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને રુદ્રપ્રયાગમાંથી ગુરુકુલ સ્થાપનની કેવી રીતે પ્રેરણા મળી તેની સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ વિગતથી વાત કરી હતી.
સ્વામીજીએ જણાવ્યું હતું કે ખરેખર ભારતદેશ ઋષિમુનિઓનો, ગુરુકુલનો અને ગાયોનો દેશ છે. ગાયોનું જતન અને સંવર્ધન કરવું એ આપણી ફરજ છે. આપણા ઋષિમુનિઓએ બ્રહ્મવિદ્યાની સાથે ભૌતિક સાધનો સાથે સમાજના પ્રેય-શ્રેય વગેરેની ચિંતા કરી છે.
ભારતનો દરેક યુવાન શરીરથી સ્વસ્થ હોય, મનથી નિર્મળ હોય અને તેની બુદ્ધિ તીક્ષ્ણ હોવી જોઇએ. ગુરુકુલની કેળવણી સર્વાંગી કેળવણી હોવી જોઇએ. જેનાથી આધ્યાત્મિકતાનો વિકાસ થાય.
સ્વામીજીએ જણાવેલ કે ગુરુકુલ દ્વારા સોમનાથ યુનિવર્સિટી વેરાવળ, તક્ષશીલા વિદ્યાપીઠ ધંધુકા, સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટમાં અભ્યાસ કરતી દિકરીઓને પણ આર્થિક સહાય કરવામાં આવે છે.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગુરુકુલમાં ચાલતા જ્ઞાનસત્ર અંતર્ગત ગૌરી પૂજનમાં આવતા મારી જાતને સૌભાગ્યશાળી માનુંછુ અને અત્યંત ધન્યતા અનુભવુ છું. આજથી ૧૦-૧૨ વર્ષ પૂર્વે છારોડી ગુરુકુલમાં દર્શનાર્થે આવેલ અને સ્વામીજી પાસેથી છ ગીર વાછરડી ભેટમાં લઇ ગયેલ. અત્યારે ૩૦ ગીર ગાયો છે.
કુરુક્ષેત્ર ગુરુકુલમાં ૩૦૦ એકર જમીન છે. ત્રણ ગુરુકુલો છે જેમા બે ગુરુકુલ ભાઇઓ અને એક ગુરુકુલ બહેનો માટે છે કોઇ પણ જાતની દવા છાંટ્યા વિના ખેતી થાય છે તેનો ઉપયોગ ગુરુુકુલમાં વસતા ૩૫૦૦ વિદ્યાર્થીોઓ માટે થાય છે.
આ ગુરુકુલમાં યોગ આયુર્વેદ અને એલોપથીનો સુભગ સમન્વય ધરાવતી હોસ્પિટલ જોઇ અત્યંત આનંદ થાય છે. ખરેખર ગુરુકુલ સંસ્થા ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે અદ્ભૂત કાર્ય કરે છે. આજે ગુરુકુલમાં આવી મા્તૃતુલ્ય બહેનોનું પૂજન કરવાનો લાભ મળ્યો એ મારુ સૌભાગ્ય માનું છું. જે દેશમાં નારીનું પૂજન અને સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. જે દેશમાં સ્ત્રીઓનું અપમાાન થાય છે તે દેશનું પતન થાય છે.
આ પ્રસંગે ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવિનભાઇ દવે, જયદેવભાઇ સોનાગરા, રવજીભાઇ હીરાણી, બોત્સવાનાથી હર્ષદભાઇ, વિપુલભાઇ ગજેરા, ગુજરાત હાઇકોર્ટના જજ શ્રી ઢોલરિયા સાહેબ વગેરે મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન ભાનુભાઇ પટેલ સંભાળ્યું હતું.