Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

શ્રાવણ મહિનાની શરૂઆત થતા હવે શિવાયલોમાં ભીડ

કાલે શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ : દશામાના વ્રતથી લઈને છેક દિવાળી સુધી હવે તહેવારોની ધૂમ : રાજયમાં જ્યોતિર્લિંગ સોમનાથમાં ભકતો ઉમટશે

અમદાવાદ, તા.૪ : પવિત્ર શ્રાવણ માસની શરૂઆત ચુકી છે ત્યારે આવતીકાલે શ્રાવણમાસના પ્રથમ સોમવારના દિવસે તમામ શિવાલયો સવારથી જ ગુંજી ઉઠશે. શ્રદ્ધાળુઓની સવારથી જ ભારે ભીડ જામશે. રાજ્યમાં આવેલા જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને અનેક નાના મોટા શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી રહી છે. આવતીકાલે સોમવારે શિવાલયો ગુંજી ઉઠશે.

              સમગ્ર માસ દરમિયાન શિવાલયોમાં લઘુરૂદ્દીના પાઠથી લઈને અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.શિવાલયો આ માસમાં પવિત્ર એવા સોમવાર ઉપરાંત અન્ય દિવસોમાં પણ હર હર મહાદેવ તથા ઓમ નમ શિવાયના જાપથી ગુંજી ઉઠશે.બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું છે.સોમનાથ ખાતે આ સમગ્ર મહીના દરમિયાન રાજ્ય અને રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડશે. આ વખતે સોમનાથ મંદિર ખાતે વિશેષ એલઈડી લાઈટ આકર્ષનું મુખ્ય કેન્દ્ર છે. સોમનાથ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ અનેક પ્રાચીન શિવાલયો આવેલા છે.જેમાં શહેરના સારંગપુર દરવાજા બહાર આવેલા કર્ણ મુકતેશ્વર મહાદેવ, રાયપુર વિસ્તારમાં આવેલું ચકલેશ્વર મહાદેવ અને રખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડીયા મહાદેવ વગેરેનો સમાવેશ થાય છે.

            આ તમામ શિવાલયોમાં આ માસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દશામાના વ્રતનો પણ આરંભ થયો છે.જે દસ દિવસ સુધી ચાલશે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકો મોટી સંખ્યામાં આ વ્રત કરી રહ્યા છે.ઉપરાંત તે મૂર્તિની સ્થાપના કર્યા બાદ તેનું વિસર્જન પણ કરતા હોય છે. આજથી લઈને છેક દિવાળી સુધી હવે વ્રત, ઉત્સવોની મોસમ પુરબહારમાં ખિલશે. જેમાં ભાદરવા મહીનામાં ગણેશ ઉત્સવ અને ગણેશ ચતુર્થી પણ લોકો ભારે ઉત્સાહથી ઉજવશે.આ વર્ષે શિવજીના ભકતોને બીલ્વપત્ર ચઢાવવામાં થોડીક તકલીફ નો સામનો કરવો પડશે કેમકે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે બિલ્વપત્ર મોંઘા છે.જુના સમયની કહેવત છે કે,દિવાસો એટલે કે દિવસાના દિવસથી બરોબર સો મા દિવસે દિવાળીનું પર્વ ઉજવવામાં આવતું હોય છે.

(8:47 am IST)