Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

ભ્રષ્ટાચાર રોકવા માટે સાચી રાષ્ટ્રભાવના કેળવવી જરૂરી

સત્યમેવ જયતેના કલાકારો અમદાવાદમાં પહોંચ્યા : ફિલ્મની સ્ટારકાસ્ટે પણ આકર્ષણ જમાવ્યું : ભ્રષ્ટાચારના દૂષણને નાથવા લડત દર્શાવતી ફિલ્મ ૧૫મીએ રજુ કરાશે

અમદાવાદ,તા.૫ : દેશમાં અત્યારે ભ્રષ્ટાચારની બદી ગંભીર અને ચિંતાજનક હદે વ્યાપી રહી છે ત્યારે તેને નાથવા માટે દિલમાં સાચી રાષ્ટ્રભાવના કેળવવી પણ એટલી જ જરૂરી છે. ભ્રષ્ટાચારના દૂષણને નાથવા આમજનતાએ પણ તેને દેશભકિતના સ્વરૂપમાં લઇ તેની સામેની લડતમાં પોતાનાથી બનતો સહયોગ આપવો પડશે. મારી આગામી ફિલ્મ સત્યમેવ જયતે પણ કંઇક આ જ પ્રકારના વિષયવસ્તુ પર આધારિત અને ભ્રષ્ટાચાર સામેની લડાઇનો સંદેશો આપતી ફિલ્મ છે, જે લોકોને  ખાસ કરીને દર્શકોને ભ્રષ્ટાચાર સામેની લડતમાં એક પ્રેરણા પૂરી પાડશે એમ અત્રે બોલીવુડના હી-મેન અને કસરતી બોડી સ્ટ્રકચર ધરાવતાં જ્હોન અબ્રાહમે જણાવ્યું હતું. તા.૧૫મી ઓગસ્ટે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહેલી સત્યમેવ જયતે ફિલ્મના પ્રમોશન માટે જ્હોન અબ્રાહમ, હીરોઇન આયેશા શર્મા, મનોજ બાજપેયી અને ડાયરેકટર મિલાપ મિલન ઝવેરી સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. બોલીવુડ સ્ટાર જ્હોન અબ્રાહમે સ્પષ્ટ કર્યું હતું કે, તે પોતે રીયલ લાઇફમાં ખૂબ જ હેલ્થ કોન્સીયસ છે અને છેલ્લા ૨૫ વર્ષથી તેણે કોઇપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાનું મુનાસીબ માન્યુ છે. સિક્સ પેક અને મજબૂત બાવડા ધરાવતાં આ લોકપ્રિય બોલીવુડ સ્ટાર જ્હોન અબ્રાહમે સામાન્ય લોકોને પણ શરીરની તંદુરસ્તી અને કસરત વિશે એક સંદેશો આપતાં ઉમેર્યું હતું કે, જીવનમાં નોનવેજ ખાધા વિના કે બીજા કોઇ સ્ટીરોઇડ, દવા કે વિકલ્પોનો સહારો લીધા વિના પણ કસરત, સારૃં, તાજું અને આરોગ્યપ્રદ ભોજન તેમ જ નિયમિત જીવનના સહારે પણ આકર્ષક બોડી બનાવી શકાય છે. જ્હોને એ પણ કહ્યું કે, તે બને ત્યાં સુધી નિયમિત લાઇફ જીવે છે. તે નોનવેજથી દૂર રહે છે અને મોડી રાત સુધી બહાર ફરવાનું કે પાર્ટીઓમાં જવાનું ટાળે છે. રાત્રે ૯-૩૦થી ૧૦-૦૦ વાગ્યાની આસપાસ તે સૂઇ જાય છે અને નિયમિતપણે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઉઠી જાય છે. એ પછી નિયમિત કસરત, જીમ અને હેલ્થ કોન્સીયસ એકટીવીટીમાં જોતરાઇ જાય છે. સત્યમેવ જયતે ફિલ્મ અંગે જ્હોન અબ્રાહમે જણાવ્યું હતું કે, દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર ખાસ કરીને પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગોમાં આ દૂષણને ખતમ કરવા સામેની લડત અને રાષ્ટ્રભકિતને દર્શાવતી આ ફિલ્મ છે. જે મ્યુઝીક, એકશન અને ડ્રામાથી ભરપૂર હાર્ડકોર કોમર્શીયલ ફિલ્મ છે, પબ્લીકના પૈસા વસૂલ જેવી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ ગમશે તેવી મને આશા છે. દરમ્યાન ફિલ્મમાં અનોખો અભિનય પાથરનાર જાણીતા કલાકાર મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે, એકટીંગ એ તેમનું ઝનુન છે, તે માત્ર પૈસા માટે ફિલ્મોમાં કામ નથી કરતા પરંતુ એકટીંગનું ઝનુન સવાર હોઇ તે એકટીંગમાં પ્રવૃત્ત છે. ફિલ્મમાં તેમનો રોલ પોઝીટીવ કે નેગેટિવ હોય તેનાથી તેમને કોઇ ફેર પડતો નથી કારણ કે, તેઓ માત્ર એકટીંગ કરવામાં માને છે, તેઓ એક રીયલ એકટર છે અને તેથી તેને ન્યાય આપવામાં જ મગ્ન થઇ જતા હોય છે. દરમ્યાન ફિલ્મની હીરોઇન આયેશા શર્મા અને ડાયરેકટર મિલાપ મિલન ઝવેરીએ જણાવ્યું કે, સત્યમેવ જયતે દેશભકિત અને ભ્રષ્ટાચાર સામેની લડતનો અનોખો સંદેશો આપતી ફિલ્મ કંઇક અલગ વિષયવસ્તુ સાથે આવતી હોઇ દર્શકોને ખૂબ જ ગમશે. પબ્લીકે જરૂર જોવી જોઇએ તેવી આ ફિલ્મ છે.

 ઉલ્લેખનીય છે કે, ડાયરેકટર મિલાપ મિલન ઝવેરી દ્વારા દિગ્દર્શિત સત્યમેવ જયતે ફિલ્મ તા.૧૫મી ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે ત્યારે ફિલ્મના દિલબર, તેરે જૈસા સહિતના ગીતો પહેલેથી જ બહુ લોકપ્રિય થઇ ચૂકયા છે. તેના પ્રોમો અને ટ્રેલર પણ ખાસ્સા લોકપ્રિય થઇ ગયા છે.

(9:02 pm IST)