News of Sunday, 5th July 2020
અમદાવાદ, તા. ૫ : શહેરમાં ફરીને ઉધરસ, શરદી અને તાવ સહિતના દર્દીઓની તપાસ કરતા ધન્વંતરી રથ હવે ડેન્ગ્યુ અને મેલેરિયા સહીતના રોગોની પણ તપાસ કરશે. અધિક મુખ્ય સચિવ તથા અમદાવાદ શહેરમાં કોરોનાનો સંપૂર્ણ ચાર્જ સંભાળનારા રાજીવ ગુપ્તાએ જણાવ્યું, AMCએ શહેરમાં ૧૨૦ ધન્વંતરી રથ મૂક્યા છે. જેમાં ૪.૨૭ લાખ લોકોના OPD કન્સલ્ટેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે.
તેઓ આગળ કહે છે, આ રથથી તાવના ૨૦,૧૪૩થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરાઈ છે, ૭૪,૦૪૮થી વધારે શરદી-ખાંસીના દર્દીઓ અને શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા ૪૬૨ દર્દીઓને સારવાર માટે અર્બન હેલ્થ સેન્ટર્સ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મેડિકલ વાને હાઈપર ટેન્શન, ડાયાબિટિસ તથા અન્ય ગંભીર બીમારી ધરાવતા ૮૨૬ દર્દીઓને સારવાર માટે નિકટના અર્બન હેલ્થ સેન્ટર્સ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને હોસ્પિટલમાં મોકલ્યા હતા.
ACS ગુપ્તા કહે છે, મોબાઈલ મેડિકલ હેલ્થ સર્વિસ વાનમાં હવે મેલેરિયા અને ડેન્ગ્યુના ટેસ્ટ પણ કરવામાં આવશે. ચોમાસાની સીઝન હોવાના કારણે મચ્છરજન્ય રોગમાં વધારાની શક્યતાને જોતા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોની મહામારીના કારણે શહેરભરમાં ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા હતા, જેથી કોરોના ન હોય તેવા શહેરીજનોને ઘરે જ જરૂરી સ્વાસ્થ્ય સંબંધિત સારવારની સુવિધા મળી શકે.
ગુપ્તાએ કહ્યું, મોટાભાગની હોસ્પિટલો કોરોનાની ટ્રિટમેન્ટમાં વ્યસ્ત હોવાના કારણે આ પગલું જરૂરી હતું. આ વાનમાં AMCના સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર, આયુષ ડોક્ટર, પેરામેડિક અને નર્સિંગ સ્ટાફ સહિતના લોકો હોય છે. આ મોબાઈલ મેડિકલ વાનમાં તમામ જરૂરી આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓ, વિટામિનની ગોળીઓ, ધબકારા તથા ઓક્સીઝનનું લેવલ ચેક કરવા માટે પ્રાથમિક ટેસ્ટિંગના સાધનો સહિતની સુવિધાઓ હોય છે.