Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ડાકોરની રથયાત્રામાં ગજરાજે સંતુલન ગુમાવતાં અફડાતફડી

રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર ગંભીર ઘટના : ગજરાજ બેકાબૂ બનતાં મહાવત અને સેવકો હાથી પરથી કૂદી ભાગ્યા : તમામ લોકોમાં પણ જોરદાર ફફડાટ ફેલાયો

અમદાવાદ, તા.૪ : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે નીકાળવામાં આવેલી ૨૪૭મી રથયાત્રા નિમિત્તે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. જો કે, રથયાત્રાના રૂટના માર્ગમાં અધવચ્ચે એક ગજરાજ અચાનક અકળાઇ ઉઠ્યા બાદ માનસિક સંતુલન ગુમાવતા જોરદાર અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. હાથીનું બેકાબૂ સ્વરૂપ જોઇ ખુદ તેના મહાવત અને તેની પર સવાર સેવકો ગભરાઇ ગયા હતા અને તેઓ તમામ જીવ બચાવવા ગજરાજ પરથી નીચે કૂદયા હતા અને ભાગ્યા હતા. જો કે, અંબાડીમાં સવાર ગોપાલલાલજીને તુરંત જ ગજરાજ ઉપરથી ઉતારીને રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. બાદમાં ભારે જહેમત બાદ ગજરાજને પણ શાંત પાડવામાં આવ્યો હતો અને અકંુશમાં લઇ લેવાતાં પરિસ્થિતિ થાળે પડી હતી. આજે ડાકોરના ઠાકોર ગુરૂવારે અષાઢી બીજના પાવન પર્વે નગરયાત્રાએ નીકળ્યા હતા. રથયાત્રા તેના નિયત સમયે, તેના નિયત માર્ગ ઉપર આગળ વધી રહી હતી. રાધાકુંડથી ગજરાજ ખૂબ જ ધીમો ચાલતો હતો. તેને સાચવવા માટે મહાવત પણ સાથે જ હતા. રથયાત્રા દશામાના મંદિરથી આગળ નીકળ્યા બાદ ગજરાજે અચાનક જ માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને તે ગોળગોળ ફરવા લાગતાં ભારે અફરાતફરી મચી હતી. ગજરા આગળના બે પગ પર ઉંચે ઉભો થઇ જતાં અને વારંવાર માથુ ધુણાવી બેકાબૂ બનતાં મહાવત સહિત તમામ લોકો ગભરાઇ ગયા હતા. હાથી બેકાબૂ બનતાં એક તબક્કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, અંબાડીમાં સવાર ગોપાલલાલજીની સાથે ગજરાજ ઉપર બેઠેલા સેવકો ટપોટપ કૂદકા મારીને તેમને લઇ નીચે ઉતરી ગયા હતા. મહાવત દ્વારા ગજરાજને કાબુમાં લેવાનો અને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કાબુમાં ન આવતાં તુરંત જ ગોપાલલાલજીને રથ મંગાવીને તેમાં બિરાજમાન કરાવી, રથયાત્રાને આગળ પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જયપુરથી બુધવારે સાંજે જ આ ગજરાજ ડાકોર આવી પહોંચ્યા હતા. રાતભર ગજરાજને આરામ કરાવવાની સાથે સાથે યોગ્ય ભોજન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં આ સ્થિતિ કેમ સર્જાઇ તેને લઇને સવાલો ઉઠયા હતા. જો કે,કોઇ ઇજા કે જાનહાનિ નહી થતાંલોકોએ રાહતનો દમ લીધો હતો.

(7:04 pm IST)