Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ગુજરાત વિકાસ માટેની નક્કર રાજનીતિથી પ્રગતિ કરી રહ્યું છે

ગુજરાતનું બજેટ સર્વાંગી વિકાસને વરેલુ : વસાવાઃ જાતિના ભેદભાવથી ચૂંટણી જીતવાના સપના જોનારાઓને જાકારો આપીને પ્રજાએ વિરોધીઓને તેમનું સ્થાન બતાવ્યું

અમદાવાદ,તા.૫: રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસનો જવાબ આપતાં રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નેતૃત્વની ભારતીય જનતા પક્ષની અમારી સરકાર ગરીબોની, ખેડુતોની, વંચિતોની, યુવાઓની અને મહિલાઓની સરકાર છે. આ એવી સરકાર છે જેણે લોકોને ઘરઆંગણે જઈને વિકાસ પહોંચાડ્યો છે. આ સરકાર માટે સૌનો સાથ સૌનો વિકાસ એ જ કર્મ મંત્ર છે. તેમણે જણાવ્યું હતું કે, ઈશાન ભારતના જનતા પક્ષને દેશવ્યાપી સમર્થન છે. તેમણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં મતનું રાજકારણ ખેલીને ગુજરાતની જનતાને જ્ઞાતિ જાતિના ભેદભાવથી છીન્નભિન્ન કરી ચૂંટણી જીતવાના સપનાં જોનારાઓને જાકારો આપીને ગુજરાતની જનતાએ આ લોકોને તેમનું સ્થાન બતાવી આપ્યું છે. મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરાના કાલ્પનિક વચનોથી નહીં પરંતુ ગુજરાત રાજ્ય વિકાસની નક્કર રાજનીતિથી પ્રગતિ કરી રહ્યું છે અને એટલે જ ૨૨ વર્ષમાં લગાતાર સતત છઠ્ઠી વખત ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના હાથમાં સત્તા સોંપી છે. આ પક્ષનો એકલાનો નહીં પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓનો વિજય છે એમ કહીને મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર સૌનો સાથ સૌનો વિકાસ કર્મ મંત્ર દ્વારા ફરી વખત વિકાસને ગુજરાતનો પર્યાય બનાવવા વધુ પુરુષાર્થ કરશે. આદિવાસી વિસ્તારોની  વિકાસની થયેલ કાયાપલટ સંદર્ભે જવાબ આપતાં વન મંત્રીએ જણાવ્યું કે, પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ફાળવેલ ૧૫,૦૦૦ કરોડના બદલે ૧૭ હજાર કરોડથી વધુ વિકાસના કામો   આ સરકારે કર્યા છે એટલુ જ નહીં, જંગલની જમીનો તેના મૂળ માલિકો એવા ૩૪,૨૪૮ આદિજાતિને ૫૧,૮૯૯ એકર જમીનના હક્કો આપ્યા છે એટલું જ નહીં ૪૫૯૯ જેટલા હક્ક દાવાઓનો નિકાલ કરી ૧૧ કરોડ ૬૦ લાખ ૫૭ હજારની રકમ લાભાર્થીઓને પરત આપી છે. આદિજાતિ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધાઓનો વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતાં વન મંત્રીએ જણાવ્યું કે, અગાઉ આ વિસ્તારના લોકોને પાણી માટે દુર દુર સુધી જવું પડતું હતું પરંતુ આ સરકારે ૯૪૮ કરોડની જોગવાઈ કરી છે તેમજ પાણીની સમસ્યાને કાયમી ધોરણે દુર કરવા દસ મોટી પાણી પુરવઠાની યોજનાઓ પેટે ૨૮૦૦ કરોડ ખર્ચ કરી પાણીની સમસ્યાઓનો ઉકેલ આ સરકાર લાવી છે. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નર્મદા જિલ્લામાં બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી માટે આ સરકારે ૪૦ એકર જમીન તેમજ ૨૨ કરોડની જોગવાઈ  કરાઈ છે.

(11:24 pm IST)