Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

રાયપુર નર્મદા કેનાલમાં નિકોલના યુવાને છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું

ગાંધીનગર: શહેર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાતના બનાવો વધી રહયા છે ત્યારે રાયપુર નર્મદા કેનાલમાં નિકોલના યુવાને છલાંગ લગાવી દીધી હતી. કેનાલ બહારથી તેનો મોબાઈલ મળી આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી અને આજે લીંબડીયા કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સંદર્ભે ડભોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

નર્મદા કેનાલ આમ તો ગુજરાતની જીવાદોરી કહેવાય છે પરંતુ લોકો પોતાનો જીવ આપવા માટે આ કેનાલની પસંદગી કરી રહયા છે. જિલ્લામાંથી પસાર થતી આ કેનાલમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે શહેર નજીક આવેલા રાયપુર નર્મદા કેનાલમાં નિકોલના યુવાન મહેન્દ્ર ડાહયાભાઈ પરમાર ઉ.વ.ર૭ એ છલાંગ લગાવી દીધી હતી. પરિવારજનોએ તેની શોધખોળ શરૃ કરી હતી અને તેનો મોબાઈલ કેનાલ બહારથી મળી આવ્યો હતો.

જો કે બે દિવસ થવા છતાં મહેન્દ્રનો કોઈ અતોપતો લાગ્યો નહોતો. જેથી આ સંદર્ભે ડભોડા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે પણ તેની શોધખોળ શરૃ કરી હતી. ત્યારે આજે તેનો મૃતદેહ લીંબડીયા કેનાલમાંથી મળી આવ્યો હતો. ડભોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી.એક બાળકના પિતા એવા મહેન્દ્રએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા પરિવારજનોના નિવેદન લેવાઈ રહયા છે.

(7:03 pm IST)