Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સુરતમાં પત્નીની હત્યામાં ન્યાય ન મળે તો પતિ દ્વારા બાળકો સાથે આત્મવિલોપન કરવાની ચિમકી

સુરતઃ સુરતમાં પત્નીની હત્યા પ્રકરણમાં ન્યાય ન મળતા પતિઅે પોતાના બાળકો સાથે આત્મવિલોપન કરવાની ચિમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

એક નેપાળી મહિલાની હત્યાના આરોપી સામે વિરોધ દર્શાવવા મહિલાના પરિવારે પોલીસ કમિશનરની કચેરી બહાર આત્મવિલોપનની ચિમકી આપી છે. મહિલાના પતિએ ચીમકી ઉચ્ચારીને કહ્યું કે, જો આરોપીને જામીન મળશે તો હું આત્મવિલોપન કરીશ.

ગત વર્ષે 26મી મેના સુરતના વેસુ ખાતે એક નેપાળી મહિલા દુર્ગાની લાશ દુર્ગમ સ્થળેથી મળી આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં 21 વર્ષીય સ્ટુડન્ટ ધ્રુવનું નામ સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ પણ કરી હતી. ઘટનાને 10 મહિના વિત્યા બાદ દુર્ગાના પતિ વિજય બહાદુર બિનબહાદુર કામીએ આશંકા સાથે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, મારી પત્નીના કેસમાં પોલીસે ચાર્જશીટમાં છેડછાડ કરી છે. અને આરોપીને બચાવવા પ્રયાસ થયા છે. મહિાના પતિએ પોલીસ પર સીધો આક્ષેપ કર્યો છે. તેના પતિએ કહ્યું કે, મને ગુજરાતી આવડતું ન હોવાથી મારી પત્નીની ચાર્જશીટમાં છેડછાડ કરાઈ છે. ત્યારે મહિલાના પતિએ સુરત પોલીસ કમિશનરની ઓફિસ બહાર આત્મવિલોપનની ચીમકી આપી છે. એટલુ જ નહિ, તેણે પોતાના બાળકો સાથે આત્મવિલોપન કરશે તેવું કહ્યુ છે.

ગઈકાલે રવિવારે સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોના ત્રાસને લઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું બહાર આવ્યું હતું દવા પી લેતા સારવાર માટે તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુરતમાં પોલીસ કમિશનર કચેરીએ આ યુવકે દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કરતા ખળભળાટ મચ્યો હતો અને અધિકારઓ દોડતા થયા હતા.

(6:24 pm IST)