Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દિવાળી વેકેશન પછી શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી

સ્કૂલ ચલે હમ ! પોતાના મિત્રો અને શિક્ષકોને મળીને ખુશ જણાયા વિદ્યાર્થીઓ ઓનલાઇન કરતા ઓફલાઇન કલાસને વધારે અસરકારક માને છે શિક્ષકો : કલાસરૂમમાં ધીરે-ધીરે વધી રહી છે વિદ્યાર્થીઓની હાજરી

અમદાવાદ તા. ૪ : કોરોના મહામારીને કારણે લાંબો સમય સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. હવે જયારે શાળાઓ ફરીથી શરૂ થઈ છે તો વાલીઓને ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે સેલ્ફ-ફાઈનાન્સ શાળાઓમાં દિવાળીની રજાઓ પછી ઓફલાઈન ભણતર મેળવવા માંગતા એટલે કે શાળાએ આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદની મોટાભાગની ખાનગી શાળાઓમાં પહેલા અઠવાડિયામાં ૧૦ ટકા બાળકો શાળામાં આવતા હતા, જયારે હવે તે આંકડો વધીને ૩૫ થી ૪૦ ટકા થઈ ગયો છે.

અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના અધ્યક્ષ મનન ચોકસી જણાવે છે કે, દિવાળી વેકેશન પછી ભણવા માટે શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ધોરણ ૧થી ૫ ની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુર અને વડોદરામાં લગભગ ૧૦ ટકા હાજરી રહેતી હતી. આ હાજરી વધીને ૩૦થી ૩૫ ટકા થઈ ગઈ છે. ધોરણ ૬થી ૧૨ની વાત કરીએ તો લગભગ ૪૦ ટકા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજર હોય છે.

મનન ચોકસીએ વધુમાં જણાવ્યું કે, આગામી વર્ષમાં થનારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની હાજરીમાં પણ વધારો જોવા મળ્યો છે. શાળાઓ પ્રયત્ન કરી રહી છે કે લાંબા સમય સુધી ઓનલાઈન કલાસ થયા હોવાને કારણે વિદ્યાર્થીઓનું જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવે. કોરોનાને કારણે શાળાઓ લાંબા સમય સુધી બંધ રહી હતી. આ વર્ષે નવા શૈક્ષણિક વર્ષથી એટલે કે જુલાઈ મહિનાથી શાળાઓ તબક્કાવાર ધોરણે શરૂ કરવામાં આવી હતી. મોટાભાગની શાળાઓ ઓનલાઈન શિક્ષણની પદ્ઘતિ અપનાવે છે. સરકાર તરફથી બાળકોને શાળામાં બોલાવવાને છૂટ તો આપવામાં આવી છે, પરંતુ ક્ષમતા કરતા ૫૦ ટકા જ હાજરીને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે જેથી બાળકોના શિક્ષણને પહોંચેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય અને પડકારોનો સામનો કરવા માટેની પદ્ઘતિ જાણી શકાય. ઘણી શાળાઓ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે કે બાળકોની લખવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. પાછલા ૧૮ મહિનામાં તેમનું ભણતર ઘણું પ્રભાવિત થયું છે.

ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના આચાર્ય શર્મિષ્ઠા સિન્હા જણાવે છે કે, ઓનલાઈ કલાસ દરમિયાન ઘણાં બાળકો પોતાનું ફોકસ ગુમાવી દેતા હોય છે. આના કારણે તેમની શીખવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. લખવું ઘણું જરૂરી છે અને ઓનલાઈન કલાસમાં તે સ્કિલ પ્રભાવિત થાય છે. સાયન્સ લેબ જેવા પ્રેકિટકલ અનુભવોથી બાળકો વંચિત રહે છે. જો બાળકના પાયાના મુદ્દા સ્પષ્ટ નહીં હોય તો આગળ જઈને તકલીફ થઈ શકે છે, અને તેઓ પરીક્ષામાં પાસ થવા માટે અન્ય પદ્ઘતિઓ અપનાવશે.

સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ, લોયલા હોલના આચાર્ય ફાધર ઝેવિયર અમલરાજ જણાવે છે કે, વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે ઉત્સુક છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશનની એક મોટી સમસ્યા ઉભી થઈ છે. અડાલજ સ્થિત ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય શજી મેથ્યુ જણાવે છે કે, બાળકના સર્વાંગી વિકાસ માટે ગ્રુપ એકિટવિટી અને એકબીજા સાથેના સંવાદ ઘણાં જરૂરી છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન બાળકો આ અનુભવોથી વંચિત રહ્યા અને આ ઘણું મોટું નુકસાન છે. બાળકો લાંબા સમય પછી પોતાના મિત્રો, શિક્ષકોને મળીને ઘણાં ખુશ જણાઈ રહ્યા છે.

(11:18 am IST)