Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ભ્રષ્ટાચારનું દુષણ ડામવા પ્રયાસ

અમદાવાદ ઇન્કમટેક્ષ ઓફિસમાં CA અને વકિલ માટે ''નો એન્ટ્રી'' સીસ્ટમ ફેસલેસ થઇ

અમદાવાદ તા.૪: ઇન્કમ ટેકસ વિભાગના અધિકારીઓ સ્ક્રૂટિની બાદ એસેસમેન્ટ શરૂ કરે ત્યારે ડિપાર્ટમેન્ટમાં કરદાતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એડ્વોકેટની અવરજવરમાં નોંધનીય વધારો થતો હોય છે ત્યારે જ ચાલુ વર્ષે અમદાવાદની આયકર વિભાગની કચેરીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કરદાતાના એડ્વોકેટના પ્રવેશ પર લગભગ રોક લગાવી દેવામાં આવી છે. જેના  કારણે ચાર્ટર્ડ એકાઉન્ટસ અને એડ્વોકેટ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ ઇન્કમટેકસના સિનિયર અધિકારીઓનું કહેવુ છે કે, સંપૂર્ણ સિસ્ટમ ફેસલેસ કરી દેવામાં આવી છે ત્યારે એડ્વોકેટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ડિપાર્ટમેન્ટમાં આવવાની કોઇ જરૂર જ રહેતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, આવકવેરા કચેરીમાં  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા એડ્વોકેટની એસેસમેન્ટના હેતુ માટેની મુલાકાતો પર અંકુશ મૂકવામાં આવ્યો છે. આવકવેરા કચેરીમાં કોઇ અધિકારીઓ CA કે  એડ્વોકેટ સાથે બેઠક કરી રહ્યા છે કે નહીં તેનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઇ-એસેસમેન્ટ થકી કરદાતાઓને ફેસલેસ સુવિધા આપવાની દિશામાં આવકવેરા વિભાગ આગળ વધી રહ્યો છે ત્યારે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે, એસેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન કારણદર્શક નોટિસની સ્થિતિમાં CA અને એડ્વોકેટની ઉપસ્થિતિને મંજૂર રાખવી જોઇએ એવી માંગી CA કરી રહ્યા છે.

આવકવેરા વિભાગે ઇ-એસેસમેન્ટ શરૂ કર્યુ ત્યારે જાહેર કર્યુ હતું કે, તમામ કોમ્યુનિકેશન ઇલેકટ્રોનિકલી થશે અને તે ડિજિટલી ઓથેન્ટિકેટેડ રહેશે. ઇ-એસેસમેન્ટના કેટલાક અગાઉથી નિશ્વિત રિસ્ક એસેસમેન્ટ ક્રાઇટેરિયા તથા અન્ય પ્રિ-ફિકસ્ડ પેરામિટર્સ પણ રહેશે, જેના કારણે એસેસમેન્ટની પદ્ધતિ સુસંગત રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસની આ નવી સ્કીમને કારણે આવકવેરા રિટર્નની સ્ક્રુટિનીમાં ધરમૂળથી બદલાવ આવશે. અગાઉ વ્યકિતગત કરદાતાના આવકવેરા રિટર્નની એસેસિંગ ઓફિસર દ્વારા સ્ક્રુટિની કરવામાં આવતી હતી, પરંતુ હવે નવી સ્કીમમાં એસેસમેન્ટ માત્ર ફેસલેસ જ નહીં બને, પરંતુ પ્રોસેસિંગના સમગ્ર સમય દરમિયાન કરદાતાએ એસેસિંગ ઓફિસરને મળવા જવાની પણ આવશ્યકતા રહેશે નહીં. આ સ્કીમ હેઠળ સ્થપાનારા કોઇ પણ રિજનલ યુનિટમાં રેન્ડમ રીતે આવકવેરા રિટર્નની સ્ક્રુટિની થશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની ડાયરેકટ ટેકસ કમિટીની ચેરમેન CA જૈનિક વકીલે જણાવ્યું હતુ ંકે, ''આવકવેરા અને એડ્વોકેટને નહીં બોલાવવા અને તેમની ઉપસ્થિતિ પર અંકુશનો નિર્ણય આવકાર્ય છે, પરંતુ એસેસમેન્ટની પ્રક્રિયામાં જો કારણદર્શક નોટિસની સ્થિતિ ઉદ્ભવે તો તેવા સમયે રિટર્નમાં દર્શાવેલી વિગતો સ્પષ્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય છે અને તેવા કિસ્સામાં CA અને  એડ્વોકેટની હાજરીની છૂટ આપવામાં આવે તે  જરૂરી છે.''(૧.૬)

અનિવાર્ય સંજોગોમાં છૂટ

 અનિવાર્ય સંજોગોમાં અધિકારીને મળવાની જરૂરિયાત ઊભી થાય તો સમય લઇને મળી શકાશે

 અધિકારીને કરદાતા પાસેથી કોઇ પણ વ્યવહારની વિગતો કે જરૂરી પૂરાવા જોઇતા હોય તો તે કરદાતાને ઓફીસિયલ ઇ-મેઇલ કરી શકે

 કરદાતા કે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પણ જરૂરી ડોકયુમેન્ટ્સ ઇ-મેઇલ દ્વારા જ મોકલવાના રહેશે.

 નાણાંમંત્રીએ અમદાવાદની મુલાકાત વખતે ફેસલેસ સ્કુટીનો તાકીદે અમલ કરવાની જાહેરાત કરી હતી

(1:00 pm IST)