Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રીક્ષાચાલકોની હડતાળ અંતે ફ્લોપ : વિભાજનની સ્થિતિ

સ્વયંભૂ હડતાળ પાડી પણ સફળ રહી નહીં : કેટલીક જગ્યાએ રીક્ષાચાલકોની દાદાગીરી-જબરદસ્તીના કિસ્સા સામે આવ્યા : કેટલાક સ્થળ ઉપર ઘર્ષણના બનાવો

અમદાવાદ, તા.૩ : કેન્દ્ર સરકારના નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં આજે કેટલાક રીક્ષાચાલકોએ સ્વયંભૂ હડતાળનું એલાન આપ્યું હતું પરંતુ રીક્ષાચાલકોની આ હડતાળનો બહુ મોટો ફિયાસ્કો થઇ ગયો હતો. ખુદ રીક્ષાચાલકોના મોટાભાગના એસોસીએશનો જ જોડાયા ન હતા. કેટલીક જગ્યાએ તો રીક્ષાચાલકોની દાદાગીરી અને જબરદસ્તીથી રીક્ષા બંધ કરાવવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. દર વખતે નાગરિકોને બાનમાં લેવાના રીક્ષાચાલકોના વલણને લઇ પ્રજામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં આજે મોટાભાગની રીક્ષાઓ ચાલુ જોવા મળી હતી. આમ, આજની રીક્ષા હડતાળમાં પણ વિવાદ સામે આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી અમદાવાદના રીક્ષા ચાલકો વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે અને રજૂઆતો કરી રહ્યા છે. હવે નવા મોટર વ્હીકલ એક્ટના કારણે રીક્ષાચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાને લઇ આજે રીક્ષા ચાલકો અને રીક્ષા એસોસિએશન દ્વારા સ્વયંભૂ હડતાળનું એલાન કરાયું હતું.

            ગીતામંદિર, એસટી બસ સ્ટેન્ડ પાસે કેટલાક રીક્ષાચાલકો હડતાળમાં જોડાયા હતા પરંતુ બાકીના વિસ્તારોમાં રીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી. એટલું જ નહી, ખુદ રીક્ષાચાલકોના એસોસીએશન જ આજની હડતાળમાં નહી જોડાતાં હડતાળનો ફિયાસ્કો થઇ ગયો હતો. રીક્ષાચાલકોમાં જ હડતાળને લઇ ફાડિયા સામે આવ્યા હતા. અંદરોઅંદર રીક્ષાચાલકોના મતભેદ અને મનભેદ પણ સપાટી પર આવી ગયા હતા. આજે સાંજે ૬-૦૦ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ રહેશે. નવરાત્રિને કારણે શહેરીજનોને હાલાકી ન પડે માટે સાંજે ૬-૦૦ વાગ્યા બાદ રીક્ષા ચાલુ રાખવા માટે નિર્ણય કરાયો છે. જો કે આ હડતાળમાં મોટાભાગના રીક્ષાચાલકો જોડાયા ન હતા, તેઓને જબરદસ્તીથી બંધ કરાવવાનો પ્રયાસ થયો હતો, જેના કારણે કેટલીક જગ્યાએ ઘર્ષણ સર્જાયુ હતું. રીક્ષાચાલકોની આજની હડતાળના આંતરિક વિખવાદને લઇ આજે નવો વિવાદ સામે આવ્યો હતો. દરમ્યાન સાંજે આરટીઓ તંત્રના અધિકારીઓ અને રીક્ષા ચાલક યુનિયનના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં તંત્ર દ્વારા રીક્ષાચાલકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

(8:45 pm IST)