Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સાબરમતી નદીથી હત્યા કરી ફેંકાયેલ લાશ મળતા ચકચાર

ઘાતક હથિયારના ઘા ઝીંકી હત્યા થયાની શંકા : યુવકને બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારાયો હોવાનું પોલીસની પ્રાથમિક શંકા : લાશને પીએમ માટે મોકલાઇ

અમદાવાદ,તા. ૩ : શહેરના શાહપુર વિસ્તારમાં આવેલ સાબરમતી નદીના પટમાંથી અજાણ્યા યુવકની વિકૃત હાલતમાં મળી આવેલ લાશને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, કોઇ અજાણ્યા શખ્સોએ યુવકની ઘાતક હથિયાર અને બોથડ પદાર્થ વડે મોતને ઘાટ ઉતારી હત્યા કરી લાશ ફેંકી દેવાઇ હોવાની પોલીસ આશંકા સેવી રહી છે અને યુવકના શરીર પર મળેલા ઇજાના નિશાનને પગલે સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસે લાશને પીએમમાં મોકલી આપી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગઇકાલે શાહપુર વિસ્તારમાં આવેલ સાબરમતી નદીના પટમાંથી ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે એક યુવકની વિકૃત હાલતમાં લાશ બહાર કાઢી હતી. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. યુવકની લાશ એટલી વિકૃત હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. યુવકની લાશને પોસ્ટમોર્ટમમાં મોકલતાં તબીબોએ તેની હત્યા થઇ હોવાની શંકા પોલીસ પાસે વ્યકત કરી હતી. યુવકના માથામાં તેમજ પેટના ભાગે હથિયારથી હુમલો થયો હોય તેવું લાગી રહ્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે લાશ તણાતી શાહપુર પાસે આવી પહોંચી હતી. યુવકના માથામાં બોથડ પદાર્થ માર્યો હોવાના ઘા છે ત્યારે તેના પેટનાં ભાગે ઈજાના નિશાન છે. મૃતક યુવકના હાથમાં એક ટેટુ છે, જેના આધારે તેની ઓળખ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એચ. પઠાણે જણાવ્યું હતું કે યુવકને બોથડ પદાર્થ માર્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હકીકત સામે આવશે કે તેની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે. રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે, હાલ તો યુવકની વિકૃત હાલતમાં અને હત્યા કરી ફેંકી દેવાયેલી લાશના મામલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે યુવકની ઓળખ અને તેના પરિજનોની ભાળ મેળવવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

(7:22 pm IST)