Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમદાવાદ કોર્પોરેશન દ્વારા ૧૦પ૪ ઉકરડા દુર કરાયાઃ અશક્ય ધ્યેય હાંસલ કરીને હવે અેકપણ ઉકરડો ન હોવાનો દાવો

અમદાવાદઃ અમદાવાદના ઘન કચરા નિકાલ વિભાગનો દાવો છે કે તેમણે અશક્ય ધ્યેય હાંસલ કરી લીધુ છે. અમદાવાદ શહેરમાં જાહેરમાં એકપણ ઉકરડો નથી રહ્યો. વિભાગનું કહેવું છે કે તેમણે શહેરમાં 1054 ઉકરડા દૂર કરી દીધા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે 2 ઓક્ટોબર પહેલા શહેરને ઉકરડા મુક્ત બનાવવાનું બીડુ ઝડપ્યું હતું. આ નિર્ણય મુકેશ કુમાર મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે લેવાયો હતો. પરંતુ એ સમયે માત્ર 180 ઢગલા હટાવાયા હતા. વિજય નહેરાના હાથમાં શહેરની કમાન આવતા આ પ્રક્રિયાને જોર મળ્યું હતુ. અમદાવાદમાં 970 જગ્યાએ 1054 ઉકરડા હતા. કોર્પોરેશને જુલાઈમાં મુખ્ય રસ્તા અથવા તો મોટી સોસાયટીઓ નજીકથી ઉકરડા દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું હતુ.

અધિકારીઓના જણાવ્યા મુજબ રોડ પરથી ગંદકી દૂર થતા રોડની જાણે કાયાપલટ થઈ ગઈ છે. 10 ટકા વિસ્તારો એવા પણ છે જ્યાંથી ગંદકી દૂર કર્યા બાદ હજુ પણ લોકો તે જ વિસ્તારમાં કચરો નાંખે છે. અધિકારીઓનું જણઆવવું છે કે 50 ટકા સોસાયટીઓમાં AMC ઘરેઘરે કચરો લેવા જાય છે જ્યારે 10 ટકા સોસાયટીમાં AMC વાહન સોસાયટીના એન્ટ્રન્સ પાસેથી કચરો કલેક્ટ કરે છે. બાકીની 40 ટકા સોસાયટીમાં ટ્રેક્ટર અને ટ્રોલી કચરો કલેક્ટ કરે છે.

સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર હર્ષદ સોલંકીએ જમાવ્યું, “ઉકરડા દૂર થતા મોટી ટ્રોલીને બદલે નાના વાહનો કચરો ભેગો કરશે અને કચરો પહોંચાડશે. મતલબ એક મોટા વાહનની જગ્યાએ નાના વાહનો વધુ ટ્રિપ્સ કરશે.” સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઈન અનુસાર કોર્પોરેશનને શહેરમાંથી ઉકરડા દૂર કરવા માટે 50 પોઈન્ટ્સ મળે છે.

(5:16 pm IST)