Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

હવે ગરબા રમવાનું પણ થયું મોંઘુ ! પાસ પર ૧૮ ટકા જીએસટી

ખેલૈયાઓમાં ભારે નારાજગી નિર્ણય સામે રોષ વ્‍યક્‍ત કર્યો

અમદાવાદ, તા.૩: કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી લોકો મન મૂકીને ગરબે ઘૂમી શક્‍યા નથી. ત્‍યારે આ વખતે લોકોને આશા હતી કે, કોઈ વિધ્‍ન વિના ગરબે ઘૂમવા મળશે. પરંતુ રાજય સરકારે ખેલૈયાઓને મોટો ઝટકો આપી દીધો છે. ગુજરાત સરકાર દ્વારા ગરબાના પાસ ઉપર ૧૮ ટકા GSTની જાહેરાત કરી છે. તેને લઈ ખેલૈયાઓમાં ભારે નારાજગી છે. ગરબા આયોજકોએ પણ સરકારના આ નિર્ણય સામે રોષ વ્‍યક્‍ત કર્યો છે. વિરોધ પક્ષોએ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. વડોદરામાં કલેક્‍ટર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પહોંચ્‍યા હતા અને ગરબા ગાઈને વિરોધ નોંધાવ્‍યો હતો. આમ આદમી પાર્ટી (આપ)ના ગોપાલ ઈટાલિયાએ મુખ્‍યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્‍યો હતો.

સરકારે ૨૦૨૨ સિઝન માટે ગરબાના સિઝન પાસ પર ૧૮ ટકા જીએસટી લાદ્યો છે. તેથી આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. જીએસટી વધારાની અસર સીધી ખેલૈયાઓના ખિસ્‍સા પર પડવાની છે. જેના લીધે ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે, ડેઈલી પાસમાં જીએસટી ચૂકવવો નહીં પડે. વડોદરા યુનાઈટેડ વે સહિત ચાર મોટા ગરબા આયોજકોએ જીએસટી લાગુ કરી દીધો છે. જણાવાયા મુજબ, સિઝન પાસ પર જીએસટી લગાવાતા વડોદરાના જ ૧ લાખથી વધુ ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ જીએસટી પેટે ચૂકવવા પડશે. જયારે રાજકોટના ૫૦ હજારથી વધુ ખેલાયાઓએ ૧ કરોડથી વધુનો જીએસટી આપવો પડશે. અમદાવાદમાં તો આ આંકડો ઘણો મોટો હશે.

ગરબા આયોજકોનું કહેવું છે કે, મૂવી જો ટેક્‍સ ફ્રી થઈ શકતી હોય તો, માતાજીના ભક્‍તિના તહેવારની ઉજવણી પર કેમ ટેક્‍સ લગાવાઈ રહ્યો છે? ગરબા આયોજકોએ કેટલી આવક પર જીએસટી ચૂકવવો પડશે અને કેટલા રૂપિયાના પાસ પર જીએસટી લાગશે તે અંગે પણ હજુ સુધી કોઈ સ્‍પષ્ટતા નથી. ખેલૈયાઓ માટે તો નવરાત્રીનો તહેવાર ઘણો મોંઘો બની ગયો છે. કેમકે, ચણિયા ચોળી પર ૫ ટકાથી ૧૨ ટકા જીએસટી લાગે છે. જેમાં ૧ હજારથી ઓછી કિંમતની ચણિયા ચોળી પર ૫ ટકા અને ૧ હજારથી વધુ કિંમતની ચણિયા ચોળી પર ૧૨ ટકા જીએસટી લાગે છે. જોકે, સરકારે જયારથી જીએસટી લાગુ કર્યો છે, ત્‍યારથી ચણિયા ચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે. હવે, સીઝન પાસ પર જીએસટી લગાવી દેવાતા ખેલૈયાઓના ખિસ્‍સા પર ભાર વધી જશે.

(9:49 am IST)