Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગુજરાત સરકારે ગરીબોના હિસ્સાનો 2.48 લાખ મેટ્રીક ટન ઘઉંનો જથ્થો છીનવી લીધો : સરકારે ગરીબોની સંખ્યા ઓછી બતાવવા આડેધડ બીપીએલ રેશન કાર્ડ રદ કરવાનો કારસો ઘડ્યો : કોંગ્રેસના સમયે ગુજરાતને 900 લાખ લિટર કેરોસીન મળતું હતું, જે ઘટાડીને 300 લાખ લિટર કરતા ઓછું કરી નાખ્યું : પરેશભાઇ ધાનાણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ‘અન્‍ન અધિકાર અભિયાન' અંતર્ગત ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા ડાંગમા : પત્રકાર પરિષદ સંબોધી

રાજકોટ તા.૩ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ‘અન્‍ન અધિકાર અભિયાન'માં ભાગ લેવા માટે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી ડાંગ ખાતે પહોંચ્‍યા હતા. ડાંગ ખાતે પત્રકારોને સંબોધતાં શ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત રાજ્‍યમાં આજે પણ ૩૧,૪૧,૨૩૧ કરતાં વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ગરીબ પરિવારોને સસ્‍તા અનાજની દુકાનેથી પૂરતું રાશન  મળતું નથી.  શ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા અનાજ, દાળ અને ચોખાની ફાળવણી દિન-પ્રતિદિન ઘટતી જાય છે. કેન્‍દ્રએ ગુજરાતમાં ગરીબો માટે સસ્‍તાદરે ચોખા અને ઘઉં ફાળવ્‍યા હતા, પરંતુ સરકારી તંત્રની બેદરકારીના કારણે ફાળવેલો જથ્‍થો ઉપાડવામાં રાજ્‍યની ભાજપ સરકાર નિષ્‍ફળ નીવડી છે. સરકારી આંકડા મુજબ, કેન્‍દ્ર સરકારે પીએચએચ માટે ૧૨,૨૨,૬૯૩ મેટ્રીક ટન જેટલો ઘઉંનો જથ્‍થો ફાળવ્‍યો હતો, તેની સામે રાજ્‍યની ભાજપ સરકાર માત્ર ૯,૭૩,૭૯૪ મેટ્રીક ટન ઘઉંનો જથ્‍થો જ ઉપાડયો, એટલે બાકી રહેલ ૨,૪૮,૯૨૩ મેટ્રીક ટન જેટલો ઘઉંનો જથ્‍થો ગરીબના કૂબામાં શું કામ ન પહોંચ્‍યો ? તેવો સવાલ શ્રી ધાનાણીએ કર્યો હતો. ચોખાના ફાળવેલ જથ્‍થામાં પણ ક્‍યાંક સરકારી તંત્રની બેદરકારીના કારણે ઉપાડ ઓછો થયો છે અને તમામ ગરીબની થાળી સુધી પૂરતા પ્રમાણમાં ચોખાનો દાણો પહોંચી શક્‍યો નથી.

રાજ્યના આદિવાસી વિસ્તારના ગરીબ લોકોને રાશન લેવા જવું હોય તો પણ ઓનલાઈન સ્‍લીપ કઢાવવી પડે છે. ડાંગ જેવા પછાત જિલ્લામાં બધા ગામોમાં પૂરતી લાઈટ નથી, સંચાર વ્‍યવસ્‍થાનો અભાવ છે ત્‍યારે ગરીબ માણસને રાશન લેવા માટે પહેલાં પડોશના ગામમાં પહોંચ કઢાવવા જવા માટે ૧૦૦ રૂપિયા લિટર પેટ્રોલનો ડામ સહન કરવો પડે છે. પાવતી કઢાવવા માટે ખાનગી લોકોને એક સ્‍લીપના રૂ. ૧૦ આપવા પડે છે અને આકરો ખર્ચ કર્યા પછી પણ ગરીબ પરિવારને તેના અધિકારનું રાશન મળતું નથી તેવો આક્ષેપ  વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ કર્યો હતો.

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્‍ચે સામાન્‍ય માણસ જીવન જીવવા સંઘર્ષ કરી રહ્‌યો છે ત્‍યારે રાજ્‍ય સરકાર દ્વારા લાખો રેશનકાર્ડ બીપીએલમાંથી એપીએલમાં ધકેલવામાં આવી રહ્‌યા છે, કેટલાય બીપીએલ કાર્ડ રદ્દ કરવામાં આવી રહ્‌યા છે. સમગ્ર ગુજરાતમાં આજની સ્‍થિતિએ છેલ્લા છ મહિનામાં જે પરિવારો કોરોનાની મહામારી વચ્‍ચે કોઈ કારણોસર સસ્‍તા અનાજની દુકાનેથી અનાજનો જથ્‍થો લઈ શક્‍યા નથી તેવા લાખો રેશનકાર્ડ ભાજપ સરકારે સમગ્ર રાજ્‍યમાં સીઝ કરી બંધ કરી દીધા છે. કોંગ્રેસ સરકાર વખતે ગુજરાતમાં ૯૦૦ લાખ લિટર કેરોસીનનો જથ્‍થો ગુજરાતની ગરીબ પ્રજાને સસ્‍તા દરે ફાળવવામાં આવતો હતો. આજે ગુજરાતના પનોતા પુત્ર માન. નરેન્‍દ્રભાઈ મોદી દેશનું નેતૃત્‍વ કરી રહ્‌યા છે ત્‍યારે કેરોસીનનો જથ્‍uથો ૩૦૦ લાખ લિટર કરતાં પણ ઓછો થઈ ગયો છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતની ગૃહિણીને રૂ. ૩૭૯ના ભાવે ગેસનો બાટલો ઘર સુધી પહોંચતો તેના બદલે આજે રૂ. ૮૫૦ના ભાવે મળે છે.

(6:04 pm IST)