Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

મગફળી કાંડ : ભાજપ સરકાર સત્યને છુપાવવા પ્રયાસો કરે છે

મગફળી કાંડ મુદ્દે કોંગ્રેસ લડાયક મૂડમાં: સરકાર દૂધે ધોયલી હોય તો ન્યાયિક તપાસની માંગણીથી કેમ ભાગે છે : કોંગ્રેસ : આજે રાજકોટમાં ગોંડલમાં ધરણા

અમદાવાદ,તા.૩: તાજેતરમાં પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળી વેપારીઓએ લેવાની ના પાડતા આ કોથળાઓની તપાસ દરમ્યાન તેમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળી છે, તેવી જ રીતે ટેકાના ભાવે ખરીદાયેલ ૩૫૦૦ કરોડની મગફળી કે જે ગોડાઉનોમાં સંગ્રહીત છે તે તમામ મગફળીના કોથળાઓમાં માટી-ધૂળ-ઢેફા-રેતી ભરેલા છે, જેથી તે તમામ કોથળાઓ સરકારી તંત્ર, વિપક્ષ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓ અને મીડીયાના મિત્રોની હાજરીમાં ઊંધા ઠાલવીને મગફળીની ગુણવત્તા ચકાસવા અને ઉચ્ચ ન્યાયપાલિકાના નામદાર ન્યાયાધીશોની અધ્યક્ષતામાં સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા ગઈકાલ તા. ૨-૮-૨૦૧૮ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરેલ છે અને જો ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા આ મગફળી કાંડની તપાસની માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ જગ્યાએ ધરણાં-ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી વિરોધપક્ષના નેતાએ ઉચ્ચારી હતી. વિરોધપક્ષના નેતાના પત્ર બાદ પણ રાજય સરકાર તરફથી તપાસની માગણીનો સ્વીકાર નહીં થવાથી આજરોજ તા. ૩-૮-૨૦૧૮, શુક્રવારના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા મુકામે વિરોધપક્ષના નેતા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો-આગેવાનો, પ્રજાજનો સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તેમજ આવતીકાલ તા. ૪-૮-૨૦૧૮, શનિવારના રોજ રામરાજ્ય ગોડાઉન, ઉમરાળા રોડ, મુ.તા. ગોંડલ, જિ. રાજકોટ ખાતે મગફળી કાંડની ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા તપાસ કરવાની માંગણી સાથે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ-ધરણાં કરશે. વિરોધપક્ષના નેતાએ સરકારના આ વલણને ભ્રષ્ટાચાર  છાવરવાનું પગલું ગણાવી આંદોલન કરવા માટે મંજૂરી ન આપવાના તંત્રના વલણ સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે. વિરોધપક્ષના નેતાએ જણાવ્યું છે કે, આંદોલનથી આઝાદ થયેલ ગરવા ગુજરાતમાં મગફળી કાંડની ન્યાયિક તપાસ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્યને છૂપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી છે. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કર્મચારી અને ગોડાઉનવિહોણી એવી ગુજકોટ સંસ્થાને ૫.૩૦ લાખ ટન મગફળી ખરીદવાનું કામ સોંપવામાં આવેલ. બનાસ-સાબર ડેરી સહિત ગુજપ્રો સંસ્થા દ્વારા ૮૭ હજાર ટન મગફળી ખરીદીનું કામ થયેલ. માલિકના બદલે વચેટીયાઓ પાસેથી સરકાર દ્વારા ગોડાઉન ભાડે રખાયા હતા. સરકારી મગફળીને મિલોમાં પીલીને સરકારના મળતિયાઓ માલામાલ થયા ત્યારબાદ નબળી ગુણવત્તાની મગફળી અને માટીના ઢેફાથી ભરાયેલ ગોડાઉનોમાં આગ લગાડીને મગફળી ખરીદીમાં ગેરરીતિના પુરાવાઓનો નાશ કરવામાં આવેલ. આ ગોડાઉનોમાં વીજળીના કનેકશન ન હોવા છતાં ગાંધીધામ, ગોંડલ, રાજકોટ યાર્ડ, જામનગર (હાપા) અને રાજકોટ (શાપર)ના ગોડાઉનોમાં આગ લાગવાની રીત એકસરખી હતી, જે બાબત શંકા ઉપજાવે છે. અગાઉ પણ ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બન્યા બાદ પણ સરકારે આ ગોડાઉનોમાં સીસીટીવી કેમેરા રાખવાની સાવચેતી લીધી નહોતી, જે પણ શંકાસ્પદ છે.

પરેશ ધાનાણીના પ્રશ્નો.....

¨      મગફળીની ખરીદીમાંથી કોણ તારવી ગયું છે મલાઈ ?

¨      શું કામે પાણી- વિજળી અને પોષણક્ષમ ભાવોનાં અભાવે ખેડૂતો થઈ રહ્યા છે દેવાદાર અને ખેતીવાડી થઈ રહી છે બરબાદ ?

¨      શું કામે કૃષિ મહોત્સવના તાયફાઓ પછીયે ખેડૂતોની સંખ્યા અને ખેતીલાયક જમીનનાં ક્ષેત્રફળમાં સત્તત થઈ રહ્યો છે ઘટાડો ?

¨      મગફળીનું મુલ્ય ચુંટણી પહેલાં ૫૫૦ હતું અને ચુંટણી ટાણે ૯૦૦ માં ખરીદી કરી તો પછી હાલ ૫૫૦ માં શું કામે લુંટાઈ રહયા છે ખેડૂત ?

¨      ટેકાના ભાવે ખરીદીમાં પણ વ્હાલા દવલાની નિતી અને ભેદભાવ પછીય પ્રતિ મણે ૫૦નો શું કામે ધરવો પડ્યો કટકી નો પ્રસાદ ?

¨      ટેકાના ભાવે ખરીદેલી મગફળીના નાણાં ચૂકવવામાં ગુનાહિત વિલંબથી ૩૧મી માચૅના રોજ બેંકલોનની ચુકવણીમાં ખેડૂતોને વ્યાજ ખાધની નુકસાની માટે જવાબદાર કોણ ?

¨      રાજયમાં અંદાજીત ૩૩ લાખ ટનના ઉત્પાદન સામે માત્ર ૭.૩૧લાખ ટન મગફળી ખરીદીને સામાન્ય ખેડુતોને શું કામે કર્યો અન્યાય ?

¨      ખરીદી કરનારી સંસ્થાઓ સાથે ભેદભાવ કરીને ઓછા કમૅચારી તથા ગોદામ વિહોણી ગુજકોટને શું કામે આપીયુ ૫.૩૦ લાખ ટનની જંગી મગફળી ખરીદીનું કામ ?

¨      અનુભવી સ્ટાફ અને પુરતાં પ્રમાણમાં ગોદામ છતાંયે ગુજકોમાસોલને ૧.૧૪ લાખ ટનની મગફળી ખરીદી ઉપર શું કામે લગાવી લગામ ?

¨      પુર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બનાસ-સાબર ડેરી સહિત ગુજપ્રો સંસ્થા દ્વારા કંઈ રીતે થયું ૮૭ હજાર ટન મગફળીની ખરીદીનું કામ ?

¨      મગફળીના સંગ્રહ માટે મૂળ માલિકનાં બદલે વચેટિયાઓ પાસેથી શું કામે ઉંચા દરે ભાડે રખાયા ખાનગી ગોદામ ?

¨      ગુજકોટને ખાનગી ગોદામો ભાડે આપનાર ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન ની કચેરીમાં કેમ લાગી ગઈ આગ ?

¨      ગુજકોટ દ્વારા જ ભાડે રખાયેલા ખાનગી ગોદામોમાં પહેલા ગાંઘીધામ, ગોંડલ, હાપા, અને રાજકોટ પછી સાપરમાં ઈરાદાપૂર્વક શું કામે લગાડાઈ રહી છે આગ ?

¨      ભાજપ સમૅથિત કુલ કેટલી, કંઇ-કંઇ અને ક્યાંની સહકારી મંડળીઓ દ્વારા ૩૫૦૦ કરોડની મગફળી ખરીદવામાં થયું રાજ્ય વ્યાપી કૌભાંડ ?

¨      ટેકાના ભાવે ખરીદેલી મગફળીને બારોબાર કંઇ-કંઇ ખાનગી મિલોમાં પિલી અને સરકારી મળતિયાઓ તેલ વેચીનેં થયાં માલામાલ ?

¨      નબળી ગુણવત્તાની મગફળી અને માટીના ઢેફાંથી કંઇ-કંઇ સંસ્થાઓ દ્વારા ભરાયાં હતાં સળગાવેલા સરકારી ગોદામ ?

¨      મગફળીકાંડની સરકારને જાણ છતાંયે શું કામે નથી રાખ્યા સીસીટીવી કે પછી ઈરાદાપૂર્વક રહ્યો સુરક્ષાનો અભાવ ?

¨      સળગેલા ખાનગી ગોદામોમાં નથી વિજળીના કનેક્શન છતાંયે શું કામે છે સળગાવવાની રીત સમાન

¨      સરકારની મીઠી નજર તળેજ સરકારી ગોદામોમાં રૂ.૧૦૦ કરોડની મગફળીનો મુદ્દામાલ સળગીને કેમ થઈ ગયો ખાખ ?

¨      સરકારી તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત પછીયે શું કામે તપાસણીના ખાલી થઈ રહ્યા છે નાટક

¨      મગફળીકાંડના કૌભાંડમાં માલ ખાઘો મદારીઓએ અને માર ખાશે વાંદરા પણ ક્યારે ખુલશે મોટા માથાઓના નામ ?

¨      મગફળી કાંડના સત્યને છુપાવવા બદલ શું કામે મળી રહ્યા છે મલાઈદાર પદોનાં ખિતાબ ?

¨      સરકારી ગોદામોમાં ખડકાયેલા ખાલી કોથળાને ઊંધા ઠાલવીને શુંકામે નથી થતો મગફળીની ગુણવત્તાનો અભ્યાસ ?

¨      નામદાર સુપ્રીમના સિટીગ જજ મારફતે મગફળી કાંડની તટસ્થ તપાસથી શું કામે ડરે છે દુધે ધોયેલી ભાજપની સરકાર ?

(10:12 pm IST)