Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમદાવાદનું વેજલપુર તળાવ મહાપાલિકાને સોંપવામાં આવશે

સિટી બ્યૂટીફિકેશન માટે વધુ એક નિર્ણય : રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા છે

ગાંધીનગર, તા. ૩ : અમદાવાદના વેજલપૂર તાલુકાના સર્વે નં. ૭૮૩માં આવેલી ૩ર૦૭ર ચો.મી. ક્ષેત્રફળનું આ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને વિનામૂલ્યે ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ એક તળાવનો વિકાસ કરવા માટે આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવશે. સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવનો વિકાસ કરશે.

   અત્રે એ ઉલ્લેખનીય છે કે  આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો તથા જૂન મહિનામાં ૧ તળાવ એમ કુલ પાંચ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રુપાણીના નિર્ણય અનુસાર રાજ્ય સરકારે જે પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે તેમાં વટવાના સર્વે નંબર ૯૦૭ પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર ૨૫૧ પરનું સરકારી તળાવ તેમજ ગોતામાં સર્વે નંબર ૧ પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોક નં.૮૬ પરનું સરકારી તળાવ અને ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. ૧ માં આવેલા ૩૭૧૯૪ ચો.મી. ક્ષેત્રફળના ગામ તળાવ સોલાનો સમાવેશ થાય છે.

(7:33 pm IST)