Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

હવે પ વર્ષ સુધીની સજા ધરાવતા ગુનાઓની તપાસ પોલીસ કોન્સ્ટેબલ પણ કરી શકશેઃ કેસોનો ઝડપી નિકાલ થશે

રાજયના ગૃહવિભાગે પેન્ડીંગ કેસોનું ભારણ ઘટાડવા લીધો મહત્વનો નિર્ણયઃ હવે પોલીસ કોન્સ્ટેબલ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ હોવાથી ઇન્વેસ્ટીગેશન કરવાની પ્રક્રીયા અને કાર્યવાહીને ઝડપથી ગ્રહણ કરવા કુશળ અને સક્ષમ છે

અમદાવાદ, તા.૩: રાજયનાગૃહ વિભાગે પોલીસ વિભાગમાં પેન્ડિંગ કેસોનું ભારણ દ્યટાડવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે પાંચ વર્ષ સુધીની સજા ધરાવતા ગુનાઓની તપાસ પોલીસ કોન્સ્ટેબલ પણ કરી શકશે. આ પહેલા કોઈપણ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અધિકારીઓ કરી શકતા હતા.

આ અંગે રાજયના ગૃહ વિભાગે આજે જાહેરાત કરતા કહ્યું કે હવેથી ઓછામાં ઓછા પાંચ વર્ષ કે તેથી ઉપરના અનુભવી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને તપાસની સત્ત્।ા સોંપવામાં આવી શકશે. આ પહેલા હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓ ગુનાની તપાસ કરી શકતા હતા.

હાલના સમયે કોઈ એક અધિકારી દ્વારા અનેક તપાસ કરવામાં આવતી હોવાથી કેસનો ઉકેલ આવતા સમય લાગી રહ્યો છે. આવા કેસોનું ભારણ આ નવા નિર્ણયથી ઓછું થશે. તેમજ રાજય પોલીસ ખાતામાં ૧૨ હજારથી વધુ કોન્સ્ટેબલ્સને કેસમાં તપાસ કરવાની તક મળશે. આમ નાના ગુનાઓની તપાસ ઝડપી બનશે. આ સાથે નોટીફિકેશન બહાર પાડ્યા બાદ તપાસ કાર્યવાહી માટે લાયક કોન્સ્ટેબલ્સને તાલીમ આપવામાં માટે એક કેપ્સ્યુલ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે

ગુજરાત પોલીસની કામગીરીમાં ભવ્ય પરિવર્તનના ભાગરૂપે ગુજરાત સરકારના

તા.૩૦/૦૬/૨૦૨૦ના ઠરાવ નં.GK/17/2020/PRCH/102020/UOR-10/Dથી ઓછામાં ઓછા પાંચ વર્ષ કે તેથી ઉપરના અનુભવી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને તપાસ (Investigation)ની સત્તા સોંપવામાં આવી છે. ઇન્વેસ્ટીગેશન એ કાયદા દ્વારા સંચાલિત કાનૂની પ્રક્રિયા છે. ફોજદારી કાર્યવાહી અધિનિયમ, ૧૯૭૩ હેઠળ હેડ કોન્સ્ટેબલ્સ અને તેનાથી ઉપરની કક્ષાના તમામ સંવર્ગના પોલીસ અધિકારીને ઇન્વેસ્ટીગેશન કરવાની સત્તા પ્રદાન કરે છે. જે તે વખતે ફોજદારી કાર્યવાહી અધિનિયમ, ૧૯૭૩ને અમલમાં મૂકવામાં આવી હતી ત્યારે ભરતી સ્તરે પોલીસ કોન્સ્ટેબલ માટે ઓછામાં ઓછા શૈક્ષણિક ધોરણો ધરાવતી લાયકાત સૂચવવામાં આવેલ હતી, જેના કારણે પોલીસ વિભાગનો મોટા ભાગનો કર્મચારીગણ કે જે કોન્સ્ટેબલ કક્ષાનો છે, તેને જયાં સુધી ઇન્વેસ્ટીગેશન અંગે પુરતો અનુભવ અને જરૂરી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેમને ઇન્વેસ્ટીગેશનની પ્રક્રિયા અને કાર્યવાહીથી દૂર રાખવામાં આવ્યો હતો.

જો કે, હાલમાં પોલીસ કોન્સ્ટેબલ હોદ્દામાં ભરતી પામેલ કર્મચારીઓની નવી પેઢી ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરેલ હોવાથી, તેઓ ઇન્વેસ્ટીગેશન કરવાની પ્રક્રિયા અને કાર્યવાહીને ઝડપથી ગ્રહણ કરવા કુશળ તથા સક્ષમ છે. જેથી, તેમને કારકિર્દીના પ્રારંભિક તબક્કે જ આવી તક પ્રાપ્ત થતાં તેઓ વધુ સારું પ્રદર્શન કરવા અને પોલીસ વિભાગને પોતાની કુશળતા સાબીત કરવા આકર્ષિત થશે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ પાસે ઇન્વેસ્ટીગેશન પરના કેસોના નિકાલ અંગેનું ખૂબ જ ભારણ હોય છે. તેથી તપાસોનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહે છે જેથી, આવી તપાસોના નિકાલમાં અનિવાર્ય વિલંબ થાય છે.

અત્યાર સુધી, પોલીસ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ ફકત તપાસ અધિકારીઓને તપાસની કામગીરીમાં મદદરૂપ થવાની કામગીરી કરી રહ્યુ છે જયારે તપાસ અધિકારી પાસે તેમની ક્ષમતા કરતા વધુ કામનું ભારણ હોય છે. કોઇપણ પોલીસ દળમાં મોટા ભાગમાં કોન્સ્ટેબ્યુલરી સ્ટાફનો સમાવેશ થાય છે જયારે તેની સાપેક્ષમાં તેનાથી ઉપરની કક્ષાના અધિકારીઓની સંખ્યા ખુબ જ ઓછી હોય છે. જયારે, નોંધાયેલ ગુન્હાની માત્રાના પ્રમાણમાં અધિકારી કક્ષાની જગ્યાઓ વધારવી એ આર્થિક રીતે સંભવિત ઉપાય ન હોઈ શકે. આ સંજોગોમાં હાલનો કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ કે જે હેડ કોન્સટેબલની કક્ષામાં બઢતી મેળવવાની કગાર ઉપર છે તેઓ અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે ગુન્હાની તપાસ કરવામાં સક્ષમ છે.

જેથી, ગુન્હાની તપાસના ભારણ અને ઝડપી નિકાલને ધ્યાને રાખી, ઉપલબ્ધ તાલીમબધ્ધ અને અનુભવી કોન્સ્ટેબ્યુલરી સ્ટાફના વધુ અસરકારક ઉપયોગ માટે ગુજરાત પોલીસ દ્વારા પાંચ વર્ષના અનુભવી બિનહથિયારી પોલીસ કોસ્ટેબ્યુલરી સ્ટાફને તપાસની સત્તા એનાયત કરવા દરખાસ્ત કરવામાં આવેલ, જે અનુસંધાને સરકારશ્રી દ્વારા પુખ્ત વિચારણા બાદ આ બાબતે તા.૩૦/૦૬/૨૦૨૦ના ગુજરાત સરકારના નોટીફીકેશન દ્વારા મંજુરી આપેલ છે. હવે પછીથી પાંચ વર્ષથી વધુ અનુભવ ધરાવતા કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને જે ગુન્હામાં પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઇ હોય તેવા ગુન્હાની તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે, અને તેઓ ફોજદારી કાર્યવાહી અધિનિયમ, ૧૯૭૩ના અધ્યાય XII હેઠળ તપાસ હાથ ધરવા અને સુનાવણી માટેના અન્ય તમામ કાર્યો હાથ ધરવા અંગેની કામગીરી કરી શકશે.

આ પગલાંથી ગુજરાત પોલીસ સમયસર કેસની નોંધણી અને નિકાલ કરી તેની સેવાઓ જનતા સુધી પહોંચાડવામાં ગુજરાત પોલીસ માટે એક આવશ્યક બદલાવ તરીકે નીવડશે, સાથે જ આના બદલાવને કારણે પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત કેસોના ઝડપી નિકાલ થશે, અને કર્મચારીઓમાં કામનું સમાન વિતરણ થશે. વધુમાં, આ કોન્સ્ટેબ્યુલરી કક્ષાનો આત્મવિશ્વાસ વધારશે અને તેમની ફરજ દરમયાન વધુ સારી કામગીરી બજાવવા માટે પ્રેરિત કરશે. તદુપરાંત, જો તેઓ તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં ગુન્હાની તપાસ કરવાનું શરૂ કરશે તો તેઓ સમૃદ્ઘ અનુભવ એકત્રિત કરશે અને જયારે તેઓ ઉચ્ચ કેડરમાં બઢતી મેળવશે ત્યારે તેઓ જટિલ અને મોટા ગુન્હાના અન્વેષણ અને ઉકેલ માટે વધુ સજ્જ બનશે અને તેના ફળસ્વરૂપ ગુન્હાહિત કેસની તપાસના ઝડપી નિકાલ થવાથી જાહેરજનતાને લાભ થશે.

કોઇ એક સમયે અધિકારીઓ દ્વારા અનેક તપાસ સંભાળવાને કારણે કેસના નિકાલમાં વિલંબ થવો એ ચિંતાનું કારણ છે. આ નોટીફીકેશનથી ગુજરાત પોલીસના બાર હજારથી વધુ કોન્સ્ટેબલ્સને રાજયમાં એક જ સમયે પાંચ વર્ષથી ઓછી સજા સાથેના કેસોની તપાસ કરવાની તક મળશે, જેનાથી માઇનોર ક્રાઇમના ઝડપી નિકાલનો માર્ગ મોકળો બનશે. અમુક સમયે અધિકારીઓના માઇનોર ક્રાઇમમાં વ્યસ્ત રહેવાના કારણે ગંભીર ગુન્હાવાળી તપાસમાં વિલંબ થાય છે. કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને આવા ગુજરાત પ્રોહીબીશન એકટ, ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલીંગ એકટ, માઇનોર એકટસ્, બોમ્બે પોલીસ એકટ, મોટર વ્હીકલ એકટ અને અન્ય એકટની તપાસ સોંપવાથી આ સમસ્યાનું નિરાકરણ કરી શકાશે કે જેથી તેઓ માઇનોર ક્રાઇમના ઇન્વેસ્ટીગેશન અને નિકાલ ઝડપથી કરી શકશે. તપાસની મોટાભાગની પ્રક્રિયાને ઇ- ગુજકોપથી ડિજિટાઇઝ કરવામાં આવી છે અને હાલના કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે સારી રીતે વાકેફ છે. આ નોટીફીકેશનના ઝડપી અને અસરકારક અમલીકરણ માટે તપાસ કાર્યવાહી માટે લાયક કોન્સ્ટેબલ્સને તાલીમ આપવા માટે એક કેપ્સ્યુલ કોર્સ વિકસાવવામાં આવ્યો છે, જેથી તેઓ તપાસ આગળ વધારવા માટે વધુ તૈયાર રહે. આમ, સરકારશ્રી દ્વારા લેવાયેલ આ નિર્ણય સમગ્ર રીતે સમાજને ઉપયોગી નિવડશે.

(10:21 am IST)