Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મોટાભાગની માંગ સંતોષાતા પિતાએ પાછી ખેંચેલ અરજી

પીડિતાના પિતાએ હાઇકોર્ટમાં કરેલી રિટનો નિકાલ : જો પોલીસની કામગીરી સામે કોઇ વાંધો ઉઠે તો નવેસરથી અરજી કરવા પણ હાઇકોર્ટે પરવાનગી આપી

અમદાવાદ,તા.૩ : શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં ભોગ બનનાર પીડિતાના પિતા તરફથી સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજી આજે નાટયાત્મક રીતે પાછી ખેંચી લીધી હતી. પીડિતાના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવવાની તેમ જ ક્રાઇમબ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારી જે.કે.ભટ્ટની તપાસ સામે વાંધો ઉઠાવ્યા બાદ તેમને આ કેસમાંથી હટાવી લેવાયા હોઇ મોટાભાગની માંગણીઓ સંતોષાઇ જતાં પીડિતાના પિતાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. જો કે, હાઇકોર્ટે આ કેસ સંદર્ભે પોલીસની તપાસ કામગીરી સામે કોઇ વાંધો ઉઠે તો નવેસરથી અરજી કરવાની પરવાનગી પીડિતાના પિતાને આપી હતી અને આ કેસનો નિકાલ કર્યા હતો. પીડિતાના પિતા દ્વારા કરાયેલી અરજીમાં હાલની તપાસનીશ એજન્સી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કરાયા હતા. ખાસ કરીને ઉચ્ચ પોલીસ અધિકારી જે.કે.ભટ્ટના પીડિતા સાથેના અભદ્ર વર્તનને લઇ હાઇકોર્ટને ફરિયાદ પણ કરવામાં આવી હતી. આજે આ કેસની સુનાવણી બપોરે ૨-૩૦ વાગ્યે હાઇકોર્ટમાં નીકળી ત્યારે અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારપક્ષની માંગણી મુજબ, પીડિતાનું આજે મેટ્રોપોલીટન કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરાનાર છે. બીજું કે, અરજદાર જે ઉચ્ચ પોલીસ અધિકારી સામે વાંધો ઉઠાવ્યો હતો તે જે.કે.ભટ્ટને આ કેસની સમગ્ર તપાસમાં હટાવી લેવાયા છે. તેથી હવે અરજદારપક્ષને આ કેસમાં કોઇ અન્યાય થવાની દહેશત અસ્થાને છે. પીડિતાના પિતા તરફથી જણાવાયું કે, તેમણે રિટ અરજીમાં ઉઠાવેલા મોટાભાગના મુદ્દાઓનું સંતોષકારક નિવારણ આવી ગયું છે અને તેમને આશા છે કે, સમગ્ર કેસની તપાસ નિષ્પક્ષ અને ન્યાયી રીતે હવે હાથ ધરાશે. તેમછતાં ભવિષ્યમાં જો પોલીસની કામગીરી સામે કોઇ પ્રશ્ન ઉભો થાય તો તેમને નવેસરથી અરજી કરવાની મંજૂરી આપવી જોઇએ. હાઇકોર્ટે અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી તેમને જો પોલીસની કામગીરી સામે ભવિષ્યમાં વાંધો ઉઠે તો નવી અરજી કરવાની પરવાનગી આપી કેસનો નિકાલ કર્યો હતો. ચકચારભર્યા દુષ્કર્મ કેસમાં ભોગ બનનાર પીડિતાના પિતા તરફથી કરાયેલી રિટ અરજીમાં હાલની તપાસનીશ એજન્સી શહેર ક્રાઇમ બ્રાંચની તપાસ અને ભૂમિકાને લઇ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એટલું જ નહી, પીડિતાના પિતા દ્વારા ક્રાઇમબ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારી જે.કે.ભટ્ટ દ્વારા પીડિતાને તપાસના બહાને માનસિક ટોર્ચર કરી અભદ્ર વર્તન કર્યાની ફરિયાદ પણ કરાઇ હતી. અરજદારપક્ષ તરફથી અદાલતનું એ મુદ્દે પણ ધ્યાન દોરાયું હતુ ંકે, આવા ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર પ્રકારના કેસોમાં સુપ્રીમકોર્ટે માર્ગદર્શિકા જારી છે તે મુજબ, ૨૪ કલાકમાં પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાવું જોઇએ અને તેની ઝીણવટભરી મેડિકલ તપાસ હાથ ધરાવી જોઇએ પરંતુ પ્રસ્તુત કેસમાં નથી તો, હજુ સુધી પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાયું કે, નથી તો તેની મેડિકલ તપાસ થઇ. ખુદ તપાસનીશ એજન્સી ક્રાઇમબ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જ ફરિયાદી પીડિતાને તેની ફરિયાદ અને નિવેદન બદલવા દબાણ કરવામાં આવી રહ્યું અને તેનું નૈતિક મનોબળતોડવાના હીન પ્રયાસો થઇ રહ્યા છે. હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચની તપાસ અને ભૂમિકાની ગંભીર નોંધ લઇ સમગ્ર કેસની તપાસ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસનીશ એજન્સી સીબીઆઇને સોંપવી જોઇએ.

(7:46 pm IST)