Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગાંધીનગરમાં રસ્‍તાની હરિયાળી લાંબો સમય સુધી નહીં ટકેઃ પહોળો રોડ બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ૮૦૦૦ વૃક્ષોનો સોથ વાળશે

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ઠેર-ઠેર વૃક્ષો આવેલા છે અને રાજકીય મહાનુભાવો જે વિસ્‍તારમાં રહે છે ત્યાં તો હરિયાળી જોવા મળે છે. ત્‍યારે આગામી સમયમાં વીઆઇપી માટેના રસ્‍તાને પહોળો કરવા માટે ૮૦૦૦ જેટલા વૃક્ષોને કાપવામાં આવશે.

છ-0થી જ-7 સુધી જતા આ રસ્તાની બન્ને બાજુ ઘટાદાર વૃક્ષો છે અને અહીં જ ગવર્નર, મુખ્યમંત્રી અને અન્ય મોટી હસ્તીઓના નિવાસ્થાન પણ આવેલા છે. કહેવાય છે કે ગાંધીનગરનો આ રસ્તો સૌથી વધારે હરિયાળી ધરાવતો રસ્તો છે, પરંતુ હવે કદાચ આ રસ્તાની હરિયાળી લાંબો સમય સુધી નહીં રહી શકે.

નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) દ્વારા આ 7 કિલોમીટરના પટ્ટાને પહોળો કરવાનો છે. આ નિર્ણયને કારણે પર્યાવરણ રક્ષકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ રસ્તા પર આવેલા વૃક્ષોમાં મોટા ભાગના 70 વર્ષથી પણ જૂના છે, અને અહીંના લોકોનો દાવો છે કે આ રોડ પર ટ્રાફિક એટલો મર્યાદિત હોય છે કે રસ્તા પહોળા કરવાની જરુર જ નથી.

એક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે, વિસ્તારમાં મંત્રીઓના નિવાસસ્થાન હોવાને કારણે ઘણી વાર VIP મૂવમેન્ટ માટે રસ્તા બ્લોક કરવામાં આવે છે, આ સિવાય અહીં ટ્રાફિક ઘણો ઓછો હોય છે. રસ્તા પહોળા કરવા માટે લગભગ 8000 જેટલા ઝાડ કાપવામાં આવે તેવી શક્યતા છે.

પાછલા થોડાક વર્ષોમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો ટ્રાફિક વધ્યો છે. ટ્રાફિકની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને NHAIએ છ-0(ઈન્દ્રોડા સર્કલ) અને જ-7(MIG સર્કલ) વચ્ચેનો રસ્તો પહોળો કરવાનો નિર્ણય કર્યો છે. રાજકીય નેતાઓના નિવાસસ્થાન સિવાય અહીં ઈન્દ્રોડા નેચર પાર્ક, સર્કિટ હાઉસ અને અક્ષરધામ મંદિર જેવા અન્ય લેન્ડમાર્ક પણ છે.

ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અતુલ અમીન જણાવે છે કે, રસ્તા પહોળા કરવાના પ્લાન બાબતે અમારી NHAI સાથે સ્પષ્ટ વાતચીત નથી થઈ. અમને જ્યારે આ પ્રોજેક્ટનો પ્લાન મળશે ત્યારે અમે આ રસ્તાના ટ્રી કવર એરિયાની આકરણી કરીશું. છ-0થી જ-7 સુધીનો રોડ પ્રોટેક્ટેડ એરિયામાં આવે છે. જો રસ્તા કરવાનો કોઈ પ્લાન હશે તો અમારે કેન્દ્ર સરકારની ઝાડ કાપવાની ગાઈડલાઈન્સ અને પરમિશન મેળવવી પડશે.

બીજી બાજુ, NHAIનું કહેવું છે કે પ્રોજેક્ટનું કામ શરુ થઈ ગયું છે. NHAIના ચીફ એન્જિનિયર અને એડિશનલ સેક્રેટરી પી.આર.પટેલિયા જણાવે છે કે, આ પ્રોજેક્ટની ટેન્ડરની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે અને એક મહિનામાં કામ શરુ થઈ જશે. આ રુટ પર આવતા વૃક્ષોનો સર્વે જંગલ ખાતા દ્વારા કરવામાં આવશે.

તેમણે આગળ જણાવ્યું કે, અત્યારના ફોર-લેન રસ્તાને પહોળો કરીને સિક્સ-લેન કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બાબતે જણાવે છે કે, કેટલા વૃક્ષ કપાશે તેની જાણ તેમને નથી. ગુજરાતના જંગલ અને પર્યાવરણ ખાતાના મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, હું આ બાબતે તપાસ કરીશ અને તમને જણાવીશ.

એક્ટિવિસ્ટ્સ અને ત્યાંના સ્થાનિકોનું માનવું છે કે, આ રસ્તાને પહોળો કરવાની કોઈ જરુર નથી. ગાંધીનગર વસાહત મંડલના પ્રેસિડન્ટ અને એક્ટિવિસ્ટ અરુણ બુચ કહે છે કે, NHAIએ જ-0ના સ્થાને NH8ને પહોળો કરવાની જરુર છે. જ રોડ VIP સ્ટ્રેચ છે. VIP મૂવમેન્ટ દરમિયાન આ રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે. રાતે ટ્રાફિક વધારે હોય ત્યારે વાહનોને છ રોડ પર ડાઈવર્ટ કરવામાં આવે છે. માટે આ રસ્તાની પહોળાઈ અત્યારે જેટલી છે તેટલી પૂરતી છે. મેં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મનસુખ માંડવિયાને પણ આ બાબતે પત્ર લખ્યો છે.

ભાજપના સભ્ય અને એક્ટિવિસ્ટ જિગ્નેશ જોશી કહે છે કે, વિકાસના નામે વૃક્ષો કાપવાનું ચલણ ઘણાં સમયથી ચાલી રહ્યું છે. ગાંધીનગરને દેશનું સૌથી વધારે હરિયાળી ધરાવતું શહેર માનવામાં આવતુ હતું, અને હવે અહીંયા પણ વૃક્ષો કાપવાની પ્રક્રિયા વધી જવાને કારણે ઉનાળામાં આકરી ગરમી પડતી હોય છે.

(5:25 pm IST)