Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વીસેક આઇ.એ.એસ. અધિકારીઓની ૧ વર્ષથી ઓછા સમયમાં બદલીઃ હજુ સચિવ કક્ષાના ફેરફારો બાકી

પોરબંદર, અમરેલી, વડોદરા, બનાસકાંઠાના કલેકટરને એક વર્ષ પણ પુરૂ થયુ નથી

રાજકોટ તા. ૩ :.. રાજય સરકારે ગઇકાલે આઇ. એ. એસ. કેડરના ૬૭ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. જેમાં ર૧ જિલ્લાના કલેકટરો બદલાઇ ગયા છે. એક જ સમયે જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા હોય અથવા ઉપલા વર્ગની જગ્યા માટે પાત્ર થઇ ગયા હોય તેવા સહિતના અધિકારીઓને બદલીમાં આવરી લેવામાં આવ્યા છે. અમુકની બદલી સ્વયંની ઇચ્છા મુજબ અને અમુકની કાર્યક્ષમતા કે ચૂંટણી લક્ષી હેતુથી બદલી થયાનું વિશ્લેષણ થઇ રહ્યુ છે. વીસેક અધિકારીઓ એવા છે કે જેને હાલની ફરજના સ્થળે એક વર્ષ પણ પુરુ થયુ નથી છતાં બદલી થઇ ગઇ છે. પોરબંદર, પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા, અમરેલી વગેરેના કલેકટર આવી યાદીમાં આવે છે.

આર. જે. માંકડીયા, રણજીતકુમાર, એસ. એમ. અમરાણી, એમ. ઓ. ગાંધી, પી. ભારથી, દિલીપકુમાર રાણા, વી. એ. વાઘેલા, એ. વી. કાલરિયા, એમ. ડી. મોડિયા, એસ. કે. લાંગા, એચ. જે. વ્યાસ, પ્રવિણ ડી. કે., સૌરભ પારધી, કિરણ ઝવેરી, સ્મૃતિ ચારણ, અરૂણ મહેશ બાબુ, એ. જે. શાહ વગેરેની હાલના સ્થાનેથી એક વર્ષથી ઓછા સમયમાં બદલી થયાનું જાણવા મળે છે. હજુ સચિવ અને તેથી ઉપરની કક્ષાના અધિકારીઓમાં ફેરફારો આવી રહ્યાના વાવડ છે.

(11:50 am IST)