Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સુરતમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં જોડાયેલ કેટલાક લોકો મસ્‍જિદ ઉપર ચડી જતા થયેલી જૂથ અથડામણ બાદ હજુ અજંપાભરી સ્‍થિતિ

સુરતઃ સુરતમાં હનુમાન જયંતિના દિવસે જૂથ અથડામણ બાદ પરિસ્‍થિતિ હજુ પણ તંગ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.

ઉધના અને અમરોલીના બે કોમી જૂથ વચ્ચે રવિવારે લિંબાયતમાં થયેલી અથડામણ બાદ સતત ત્રીજા દિવસે સુરતમાં સ્થિતિ તંગ રહી. હનુમાન જયંતીના સરઘસમાં સામેલ થયેલા કેટલાક લોકો એક મસ્જિદની દિવાલ પર ઝંડા સાથે ચડી ગયા હતા. સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે લિંબાયત વિસ્તારમાં શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ સ્થાનિકોએ સરઘસ કાઢવાનું નક્કી કર્યું. સરઘસ મક્કા મસ્જિદ પાસે રોકાયું, જ્યાં કેટલાક યુવાનોએ લાઉડ મ્યુઝિક સિસ્ટમ પર ફિલ્મી ગીતો પર ડાંસ કરવાનું શરૂ કર્યું.

ડાંસ દરમિયાન જ સરઘસમાંથી બે વ્યક્તિઓ મસ્જિદની દિવાલ પર ચઢીને નાચવા લાગ્યા, ત્યારે નીચે ઊભેલા લોકો તેમને તલવાર અને ઝંડાઓ બતાવી પ્રોત્સાહિત કરી રહ્યા હતા. જ્યારે સરઘસ આગળ વધ્યું ત્યારે તે બંને નીચે ઉતર્યા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, જ્યાં હાલ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું કે, “લિંબાયતમાં બનેલી ઘટનામાં અમે 28 લોકોની ધરપકડ કરી છે. આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસને સૂચના આપવામાં આવી છે.

દરમિયાન એવી અફવા ફેલાઈ કે કેટલાક લોકોએ મસ્જિદના મીનારને નુકસાન પહોંચાડ્યું છે. જેથી પોલીસે તાત્કાલિક કેટલાક સામાજિક આગેવાનોને તપાસ માટે મોકલ્યા પણ તેમના પર જ સ્થાનિકોએ હુમલો કર્યો. જે બાદ બંને કોમના લોકો ભેગા થવા લાગ્યા અને સ્થિતિ અસામાન્ય બની. જો કે પોલીસે પહોંચીને ટોળાને વિખેર્યા અને મામલો શાંત કર્યો. પોલીસે લિંબાયતમાં મંજૂરી વિના સરઘસ કાઢવા બદલ સાગર ડાંગર સામે ગુનો દાખલ કર્યો છે.

(7:52 pm IST)