Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

હવામાનની અને ખાસ કરીને વરસાદની અને વાવાઝોડાની આગાહી માટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ ભારત સરકાર કયા-કયા પ્રકારની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે ? જાણો બધુ....

ભારતીય હવામાન વિભાગ અને ઇસરોના સહયોગથી દેશના કિસાનોને, માછીમારોને અને જનતાને મેઘરાજાના મિજાજ વિશે આગોતરી જાણકારી મળી શકે છે

અમદાવાદઃ સમય અને સ્થાન મુજબ હવાની સ્થિતિ એટલે હવામાન. અને આગાહી એટલે જે આગામી સમયમાં થવાનું હોય તેનું અનુમાન. હવામાનની આગાહી, એટલે આગામી સમયમાં હવાની પરિસ્થિતિ વિશે સમજી અને જાણીને આગામી દિવસો માટે આપેલું અનુમાન છે. હવામાનની આગાહી ડેટા આધારિત અને સતત મોનિટરિંગ માગતી પ્રોસેસ છે. અને હાલના સમયમાં બદલાતા વાતાવરણના કારણે હવામાનની આગાહી કરવું થોડું મુશ્કેલ બની ગયું છે. એકદમ પરફેક્ટ આગાહી કરવું આગાહીકારો અને વૈજ્ઞાનિકો માટે મોટો પડકાર છે.

આગાહીકારો અને વૈજ્ઞાનિકો વર્ષોથી આગામી દિવસોનું હવામાન કેવું રહેશે તેની આગાહી કરતા જ રહેતા હોય છે. ત્યારે, આ આર્ટીકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે, કેવી રીતે વૈજ્ઞાનિકો આગાહી કરે છે. હવામાનની આગાહી વર્ષો વર્ષથી ચાલતી આવી છે. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ નવી પદ્ધતિઓ પણ આવતી ગઈ.

આગાહી માટે એજન્સીઓ-

સાયન્સ અને ટેક્નૉલૉજીના વિકાસ સાથે કદમ તો જરૂર મિલાવવાં પડે. વળી હવામાનની અને ખાસ કરીને વરસાદની અને વાવાઝોડાની આગાહી માટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ ભારત સરકાર કયા-કયા પ્રકારની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે. ભારત સરકારે પણ આ જ મહત્વની બાબતને ધ્યાનમાં રાખીને હવામાનની આગાહી વધુ સચોટ બનાવવા IMD સાથે ઇન્ડિયન ઇન્સિટીટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મિટિયરોલૉજી, નૅશનલ સેન્ટર ફૉર મિડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અને નૅશનલ ઇન્સિટીટ્યૂટ ઑફ ઓશન ટેક્નૉલૉજી જેવી મહત્વની એજન્સીઓને પણ જોડી દીધી. એટલું જ નહીં, એક કદમ આગળ વધીને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)નો પણ ભરપૂર સહકાર મેળવ્યો. IMDનું કાર્યક્ષેત્ર દેશની વિશાળ જમીન પર થતી ગતિવિધિ, વિશ્વની સૌથી મોટી પર્વતમાળા હિમાલયમાંની બરફની મહાકાય શિલાઓમાં થતા ફેરફારો, પૃથ્વીના વિરાટ ગોળા ફરતેના કુદરતી સુરક્ષા કવચમાં ઓઝોનના પડનું સતત નિરીક્ષણ, અપર ઍર ઝોનમાં થતા ફેરફારો અને સૂર્યનાં કિરણોમાંથી ફેંકાતા રેડિયેશનના અભ્યાસ સુધી ફેલાયેલું છે. પ્રકૃતિના ફેરફારો માટે આ બધાં પરિબળો પણ કારણભૂત બનતાં હોવાથી એના પર પણ નજર રાખવી જરૂરી છે.

હવામાનની આગાહીમાં ઇસરોનું યોગદાન-

ઇસરોની કામગીરી આમ તો અંતરીક્ષ સંશોધનની છે. તેમ છતાં અંતરીક્ષ સંશોધનનો ઉપયોગ માનવજાતના કલ્યાણ માટે થાય તો એનાથી સારું બીજું શું હોય એવી વિશાળ દૃષ્ટિ અને વિકાસશીલ હેતુ રાખીને ઇસરો એની ઇન્સેટ (ઇન્ડિયન નૅશનલ સૅટેલાઇટ્સ), આઇઆરએસ (ઇન્ડિયન રિમોટ-સેન્સિંગ સૅટેલાઇટ્સ), કલ્પના-1 અને મેઘા ટ્રૉપિક્સ વગેરેનો શ્રેષ્ઠ ઉપયોગ હવામાનની આગાહી માટે પણ કરે છે. ઇસરોની આ બધી સૅટેલાઇટ્સની કામગીરી આજે આખા દેશ માટે બહુ ઉપયોગી સાબિત થઈ રહી છે. ઇસરોએ એની આ બધી સૅટેલાઇટ્સની શ્રેણી પણ શરૂ કરી છે.

ઇસરોની સૅટેલાઇટ્સ કેવી રીતે ઉપયોગી બને?

ઇન્ડિયન રિમોટ-સેન્સિંગ સૅટેલાઇટ્સ (IRS)નો મુખ્ય ઉપયોગ અર્થ ઑબ્ઝર્વેશનનો છે. આમ છતાં અર્થ ઑબ્ઝર્વેશનની સાથે સાથ હવામાનનો પણ અભ્યાસ થાય એવી ખાસ વ્યવસ્થા એટલે કે યંત્રણા આ સૅટેલાઇટમાં ગોઠવવામાં આવ્યા છે. IRSમાં ચાર દિશામાં ચાર અત્યાધુનિક ટીવી-કૅમેરા ગોઠવવામાં આવે છે. આ કૅમેરા ઇન્ફ્રારેડ, ઑપ્ટિકલ અને વિડિયો કૅમેરા પ્રકારના હોય છે. ઉપરાંત એમાં અત્યાધુનિક પ્રકારનાં રડાર્સ પણ ગોઠવવામાં આવ્યાં હોવાથી પૃથ્વીની નીચી સપાટીએ ઘટ્ટ અને કાળાં ડિબાંગ વાદળો ઘૂમરાતાં હોય તો પણ એને વીંધીને સાફસૂથરી ઇમેજિસ લઈ શકાય છે. અને હવામાનની સમગ્ર ગતિવિધિ વિશે તમામ માહિતી મેળવી શકાય છે. ખાસ કરીને વાદળાંઓનું બંધારણ, એની ઊંચાઈ, એની દિશા, એ પાણીદાર છે કે નહીં, હવામાં ભેજનું પ્રમાણ અને જમીનનું તાપમાન વગેરે ઉપયોગી માહિતી અને ઇમેજિસ મળી શકે છે.

સૅટેલાઇટની મદદથી હવામાનની જે કોઈ ઉપયોગી માહિતી અને ઇમેજિસ મળે એનો સીધો લાભ દેશના લાખો ખેડૂતોને, માછીમારોને, પ્લેનના પાઇલટને, વહાણ અને સ્ટીમરના કૅપ્ટનને, સરકારને અને જનતાને મળે. ખાસ કરીને વરસાદ અને પવનની આગાહી થઈ શકે. અમુક સંજોગોમાં તો હવામાન વિભાગ અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડું પણ ફૂંકાવાની આગાહી કરે છે. ત્યારે, કેન્દ્રની અને જુદાં-જુદાં રાજ્યોની સરકારો સામાન્ય જનતાની સલામતી માટે આગોતરી ખાસ વ્યવસ્થા કરી શકે છે જેથી કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય.

હવામાનની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક-

સાયન્સ અને ટેક્નૉલૉજીના વિકાસનો લાભ આજે આપણા કૃષિપ્રધાન દેશને બહુ મોટા પાયે થઈ રહ્યો છે. આજે ભારતમાં લગભગ 70 ટકા જેટલા વિસ્તારમાં કિસાનો છે અને તેમનો વ્યવસાય ખેતીવાડીનો છે. આપણા દેશની ખેતી હજી ઘણા અંશે આકાશી ખેતી એટલે કે વરસાદ આધારિત છે. દેશનાં ખોબલાં જેવડાં ગામડાંઓમાં રહેતા ખેડૂતો તેમના વિવિધ પાકનું વાવેતર વરસાદની આગાહીના આધારે જ કરે છે. યોગ્ય સમયે અને જરૂર પૂરતો વરસાદ વરસે તો પાક સફળ થાય, નહીં તો નિષ્ફળ જાય. જોકે આજે આ ચિત્ર બદલાયું છે એટલે કે ભારતીય હવામાન વિભાગ અને ઇસરોના સહયોગથી દેશના કિસાનોને, માછીમારોને અને જનતાને મેઘરાજાના મિજાજ વિશે આગોતરી જાણકારી મળી શકે છે. આ પ્રકારની આગોતરી જાણકારીથી ફક્ત સરકાર જ નહીં, કિસાનો તેમની ખેતી વિશે પણ આગોતરું આયોજન કરી શકે છે.

(5:25 pm IST)