Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કાજુકતરીમાં શિંગોડાનો લોટ, ચાંદીના બદલે એલ્યુમિનિયમ

તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો : દિવાળીના દિવસોમાં કાજુકતરી વધારે ખાવી જોઈએ નહીં અને તેને ઘરમાં ૫ દિ'થી વધારે સમય રાખવી જોઈએ નહીં

અમદાવાદ, તા. : દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધી જાય છે અને હવે તહેવારો શરૂ થવામાં બે દિવસનો સમય છે ત્યારે તેની માંગ ઘણી વધી ગઈ છે. આવા સમયે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને નફો રળી લેનારા વેપારીઓની પણ કોઈ કમી નથી. ઘણા વેપારીઓ ભેળસેળવાળી મીઠાઈઓ વેચી રહ્યા છે. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સતર્ક બની ગયું છે. કોર્પોરેશન દ્વારા મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જોકે, કોર્પોરેશનના ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ મીઠાઈના વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી લેતા હોય છે જેના કારણે આવી ભેળસેળવાળી મીઠાઈના વધારે કિસ્સાઓ બહાર આવતા નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવી રહ્યા છે કે કાજુકતરી જેવી મોંઘી મીઠાઈઓમાં સૌથી વધારે ભેળસેળ થાય છે. કાજુકતરીમાં કાજુ તો નામના હોય છે. તેમાં શિંગોડાનો લોટ ઉમેરવામાં આવે છે. જોકે, સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી હોવાની સૌથી મોટી વાત છે કે કાજુકતરી પર ચાંદીના બદલે એલ્યુમિનિયમનું વરખ લગાવવામાં આવે છે.

જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અધિકારીઓનું કહેવું છે કે મોંઘી મીઠાઈ ખરીદવામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. દિવાળીના દિવસોમાં કાજુકતરી વધારે ખાવી જોઈએ નહીં અને તેને ઘરમાં ચાર-પાંચ દિવસથી વધારે સમય રાખવી જોઈએ નહીં. મીઠાઈઓમાં ફક્ત કાજુકતરી નહીં પરંતુ મોટા ભાગની મીઠાઈઓમાં ભેળસેળ થતી હોય છે.

મોહનથાળ, મગસ અને બરફી જેવી મીઠાઈમાં રંગો ઉમેરવામાં આવે છે. મ્યુનિસિપલ પબ્લિક હેલ્થ લેબોરેટરીના ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, બજારમાં મળતા મોહનથાળ, મગસ અને બરફીમાં રંગની ભેળસેળ કરવામાં આવે છે. જેમાં કોઈ પ્રમાણ જાળવવામાં આવતું નથી. જોકે, કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિવાળીમાં મીઠાઈની માંગ વધારે હોવાથી વેપારીઓ ઘણા દિવસો પહેલા જ મીઠાઈઓ બનાવવાનું શરૂ કરી દે છે. કોર્પોરેશનના અધિકારીએ પણ સલાહ આપી છે કે દિવાળીના દિવસોમાં ખરીદેલી કે ભેટમાં આવેલી મીઠાઈઓનો જથ્થો ઘરમાં રાખવાના બદલે જરૂર પૂરતી રાખીને બાકીની કોઈને આપી દે. મીઠાઈઓ ૧૦-૧૫ દિવસ પહેલા જ બનાવવામાં આવતી હોવાથી તેને સમયસર વાપરી નાંખવામાં ન આવે તો તે બગડી જાય છે. આ ઉપરાંત તેમાં ભેળસેળ થતી હોવાથી સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. 

(9:35 pm IST)