Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ગુજરાત : સ્વાઈન ફ્લુના વધુ ૨૨ કેસ સપાટી ઉપર આવ્યા

સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા વધીને ૧૮૨૯ : અમદાવાદમાં સ્વાઈન ફ્લુના પ તેમજ કચ્છમાં ૧૧ કેસો

અમદાવાદ, તા.૧: ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના વધુ ૨૨ કેસ સપાટી પર આવ્યા હતા. ૧૬૫થી વધુ દર્દી હજુ સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા વધીને ૧૮૨૯ ઉપર પહોંચી ગઈ છે. આજે અમદાવાદમાં સ્વાઈન ફ્લુના પાંચ અને કચ્છમાં એક સાથે ૧૧ કેસ સપાટી ઉપર આવ્યા હતા. બોટાદમાં બે કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લુગ્રસ્ત મોતની સંખ્યા સત્તાવારરીતે ૫૬ ઉપર પહોંચી છે. જો કે, મોતના આંકડાને લઇને ખુબ જ વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આજે સ્વાઈન ફ્લુના કારણે કોઇ મોત થયું ન હતું પરંતુ આંકડો ખુબ ઉંચો છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ કેસો નોંધાયા છે. પહેલી સપ્ટેમ્બરથી હજુ સુધી દર્દીઓની સંખ્યા ૧૮૨૯ સુધી પહોંચી છે. આજે તમામ વધુ ઉમેરો થયો હતો. એકલા અમદાવાદ મનપા ક્ષેત્રમાં જ ૬૮૭થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ શહેર સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુને લઇને કેસોની સંખ્યામાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. નવા કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સંબંધિત વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં પણ નવા પાંચ કેસો નોંધાયા છે. અમદાવાદમાં વિવિધ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. સ્વાઈન ફ્લુ રોગ વધુ ગંભીર બનતા આ વર્ષે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની રજા  પણ રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ મોટી સંખ્યામાં દર્દીઓને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. ૧૬૫ દર્દીઓ રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોતનો આંકડો પણ દરરોજ દર્દીઓના મોતથી રોકેટગતિએ વધી રહ્યો છે. આંકડો અવિરત વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના ચાર કેસ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૭૪ ઉપર પહોંચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ અસર અમદાવાદમાં થઈછે. જ્યાં ૬૮૭થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

(9:55 pm IST)