Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

આગામી ૫ દિવસ રાજ્યમાં વરસાદ હવે નહિવત રહેશે

રાજ્યમાં છેલ્લા મહિનામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે : કેટલાક દિવસથી સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતાં હવે કેટલાક વિસ્તારમાં લીલા દુષ્કાળની ભીતી

અમદાવાદ, તા.૨ : ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. તેમાં પણ છેલ્લે છેલ્લે ગુલાબ અને શાહીન વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. રાજયના ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જળાશયો પણ છલકાઈ ગયા છે. જોકે એક મહિના પહેલા જ્યાં દુષ્કાળના ડાકલા વાગતા હતાં ત્યાં હવે લોકો હાથ જોડીને મેઘરાજાને ખમૈયા કરવાનું કહે છે. હાલની જ વરસાદની સ્થિતિ હજુ જળવાય તો હવે લીલો દુકાળ પડે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી ૫ દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. ત્યારબાદ નવરાત્રીમાં વરસાદની શક્યતાને નકારી છે. આ રીતે લગભગ નવરાત્રીની શરુઆત સાથે ગુજરાતમાંથી ચોમાસુ વિધિવત વિદાય લઈ શકે છે.

પશ્ચિમ બંગાળની ખાડીમાં તૈયાર થયેલું ગુલાબ ઓડિશા-આંધ્ર પ્રદેશથી જમીન પર આવ્યું હતું અને પછી સાઇક્લોનિક લો પ્રેશરમાં ફેરવાઈને ભારતના પૂર્વથી પશ્ચિમ ખુણા સુધીની સફર ખેડી હતી. જે બાદ ગુજરાતના દરિયામાં તેણે શાહીન વાવાઝોડાનું સ્વરુપ ધારણ કર્યું હતું. પરંતુ હવે આ વાવાઝોડું હવામાન વિભાગની અગાઉની આગાહી મુજબ પાકિસ્તાન થઈને મધ્ય પૂર્વ એશિયા તરફ ફંટાઈ ગયું છે. જેના પગલે રાજ્યમાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે તો મેઘરાજાએ પણ વિરામ લેતા ખેડૂતોને રાહત મળી છે. જોકે હવામાન વિભાગ મુજબ હજુ પણ બે ત્રણ દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં છુટછવાયો વરસાદ જોવા શકે છે. ગુલાબમાંથી શાહીન બનેલું વાવાઝોડું આજે પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાશે. આ સમયે વાવાઝોડા ખૂબ જ શક્તિશાળી હશે અને ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. આગામી ૩૬ કલાક સુધી વાવાઝોડું સક્રિય રહેશે જેના કારણે ગુજરાતમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરના પગલે દરિયામાં કરંટ વધશે અને ૩.૫ મીટર સુધીના મોજા ઉછળી શકે છે. આ સાથે રાજ્ય પરથી શાહીનનો ખતરો ટળી ગયો છે. મહત્વનું છે કે શાહીનના પગલે રાજ્ય સરકારે પૂરતી તૈયારી કરી રાખી હતી અને તમામ સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમો તહેનાત કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ આ વખતે નવરાત્રીમાં વરસાદની શક્યતા નહિવત છે જેને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. ૬ ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વર્ષે ૨ ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો કચ્છ-સૌરાષ્ટ્રમાં ૨૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

(9:32 pm IST)