Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

શાહીન વાવાઝોડુ આજે પાકિસ્‍તાનના મકરાણાના દરિયા કાંઠે ટકરાય તે પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડયોઃ સર્વત્ર પાણી-પાણી

પાલડી, નારણપુરા, નવરંગપુરા સહિતના વિસ્‍તારોમાં પોણો કલાકમાં પોણા 2 ઇંચ વરસ્‍યો

અમદાવાદ: શાહીન વાવાઝોડું આજે પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાવાનુ છે. પરંતુ તેની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદભરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. પાલડી, નારણપુરા, નવરંગપુરા, યુનિવર્સિટી,શ્યામલ, સેટેલાઇટ, એલિસબ્રિજ, આશ્રમ રોડ, નહેરુનગર, વાસણા, જીવરાજ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોઁધાયો છે. પોણો કલાકમાં અમદાવાદમાં પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સવારથી અમદાવાદમાં તડકો હતો, પરંતુ બપોર બાદ એકાએક વાતાવરણ બદલાયું હતું. શ્રાદ્ધ પક્ષના ભરપૂર તાપમાંથી વાદળીયું વાતાવરણ છવાઈ ગયુ હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. શરૂઆતમાં હળવા વરસાદી ઝાપટા બાદ ભારે વરસાદ આવ્યો હતો. લો ગાર્ડન, પંચવટી, સી.જી રોડ અને એલિસ બ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ આવી શકે છે.

તો ભારે વરસાદ બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છ. મીઠાખળી અંદરપાસમાં AMTS બસ ફસાઈ ગઈ હતી. ગાંધી આશ્રમ પાસે નીચાણવાળા ભાગમાં સામાન્ય પાણી ભરાયા હતા. વરસાદથી બચવા રોડ પર વાહનો પાર્ક કરીને લોકો આશરો શોધતા નજરે પડ્યા હતા.

શાહીન વાવાઝોડાની અસર

હવામાન ખાતાના અપડેટ અનુસાર, શાહીન ભલે ગુજરાતા કાંઠે ટકરાયુ નહિ હોય, પણ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. શક્તિશાળી શાહીન પાકિસ્તાનના કાંઠે ટકરાવાનુ છે. પણ તેની અસરના ભાગરૂપે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 36 કલાક સુધી આ વાવાઝોડું સક્રિય રહેશે.

(4:43 pm IST)