Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

આવકના પ્રમાણપત્રને લઇને રાજ્ય સરકારે કર્યો નિર્ણય

ગ્રામ્ય કક્ષાએ અપાતુ આવકનું પ્રમાણપત્ર ૩ વર્ષ સુધી માન્ય રહેશે

હવે દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવા માટે ધક્કા ખાવા નહીં પડે

અમદાવાદ,તા. ૨:રાજય સરકાર  મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. એટલે કે, હવે દર વર્ષે આવકના પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા પડશે નહીં. રાજયમાં વિવિધ યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાઈ તે માટે સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો લાભ ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને થશે.

ગુજરાત સરકાર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજયમાં ડિજિટલ ગુજરાત હેઠળ આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે, તેની સમયમર્યાદા હવે એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે.

રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજયના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે. આ સમસ્યાનું નિવારણ લાવતાં હવે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની અવધિ પણ એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવાનો નિર્ણય કર્યો છે.

સરકારના આ નિર્ણય બાદ હવેથી રાજયના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુકિત મળશે અને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. આ નિર્ણયને પરિણામે રાજયના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે. 

(10:08 am IST)