Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

આણંદ એસઓજીએ પેટલાદમાંથી જુગાર રમતા સાત શકુનિઓને 12 હજારની રોકડ સાથે ઝડપ્યા

આણંદ:એસઓજી અને પેટલાદ શહેર પોલીસે સંયુક્ત રીતે આજે બપોરના સુમારે શેરપુરા ખાત ેઆવેલા એક મકાનમાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે છ ફરાર થઈ ગયા હતા. પોલીસે રોકડા ૧૨૨૫૦ તથા ચાર મોબાઈલ સાથે કુલ ૨૦૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર એસઓજી પોલીસને હકીકત મળી હતી કે, પેટલાદ ખાતે રહેતો આબેદઅલી અહેમદઅલી સૈયદ શેરપુરામાં આવેલા મુસ્તાકઅલીના મકાનમાં જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે જેથી પેટલાદ પોલીસ સાથે છાપો મારતાં જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી ઈમરાન મહેબુબખાન પઠાણ (પેટલાદ), મુસ્તાકભાઈ ઈર્શાદભાઈ સૈયદ (પેટલાદ), રણજીતભાઈ રાયસીંગભાઈ જાદવ (કાંધરોટી), વીરેશભાઈ કાશ્મીરીલાલ પંજાબી (પેટલાદ), સંદિપભાઈ સેમ્યુલભાઈ પરમાર (આણંદ), સંજયભાઈ કાન્તીભાઈ ઠાકોર (ગોરેલ)ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે આબેદઅલી અહેમદઅલી સૈયદ, શાબીર ઉર્ફે શેરો, આશીફ ઉર્ફે બૈજુ અહેમદભાઈનો છોકરો, જાવેદ ઉર્ફે લાલ બાલ, નઈમ અને ભાવેશ રાવજીભાઈ મિસ્ત્રી ફરાર થઈ ગયા હતા. 
પોલીસને દાવ પરથી ૪૬૫૦ તથા પકડાયેલા આરોપીઓની અંગજડતીમાંથી ૭૬૦૦ તેમજ ચાર મોબાઈલ સાથે કુલ ૨૦,૭૫૦નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક સમયથી પોલીસ સ્ટેશનની નજીક આવેલા શેરપુરા વિસ્તારમાં વરલી મટકાં અને પત્તા-પાનાનો જુગાર ધમધમી રહ્યો છે.

(5:38 pm IST)