Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

આણંદ તાલુકાના સારસાની સીમમાં બે બાઈક સામ-સામે અથડાતા બને ચાલકના કમકમાટી ભર્યા મોત

આણંદ: તાલુકાના સારસા સીમમાં આવેલા ગેબનશા પીરની દરગાહના પાટીયા પાસે આજે રાત્રીના સુમારે બે બાઈકો સામસામે ભટકાતાં બન્ને ચાલકોનો ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ખંભોળજ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતકોની લાશોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. 
અકસ્માતની મળતી વિગતો અનસાર કુંજરાવ તાબેના ખોબલીપુરા ખાતે રહેતો પંકજભાઈ રણછોડભાઈ ઠાકોર (ઉ. વ. ૨૧)પોતાનું બાઈક લઈને કુંજરાવથી સારસા તરફ જવા નીકળ્યો હતો. રાત્રીના સવા નવેક વાગ્યાના સુમારે સારસા-રાસનોલ રોડ ઉપર આવેલી ગેબનશા પીરની દરગાહના પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે સામેથી પુરપાટ ઝડપે બાઈક લઈને આવી ચઢેલા કૌશિકભાઈ ઉર્ફે ધીરૂભાઈ મનુભાઈ પરમાર (ઉ. વ. ૨૪, સારસા)ધડાકાભેર અથડાતાં બન્ને ચાલકો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. જેમાં તેમને માથામા તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં તેમના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. ધડાકાભેર અકસ્માત થતાં જ બન્ને બાઈકોનો પણ ભુક્કો બોલી જવા પામ્યો હતો. આસપાસના રહીશો તથા રાહદારીઓ બચાવ તેમજ રાહતની કામગીરી માટે આવી ચઢ્યા હતા અને તુરંત જ ૧૦૮ તેમજ ખંભોળજ પોલીસને જાણ કરતાં તેઓ પણ આવી ચઢ્યા હતા. 
તબીબોએ બન્નેને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ખંભોળજ પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ઘરી છે.

(5:37 pm IST)