Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અંબાજી માતાજી મંદિર, સોમનાથ મંદિર, ગઢડા સ્વામીનારાયણ મંદિર અને વડતાલ સ્વામીનારાયણ મંદિર ગુજરાતના ગોલ્ડન ટેમ્પલ બન્યાઃ ચારેય મંદિરોમાં રૂપિયા કુલ ૧૨૦ કરોડના ૪૦૦ કિલો સોનાનો ઉપયોગ

અમદાવાદઃ ગોલ્ડન ટેમ્પલ તરીકે પ્રસિદ્ધી પંજાબના અમૃતસરમાં આવેલ શીખ મંદિરની છે. પરંતુ હવે ગુજરાતે આ મામલે બાજી મારી છે અને રાજ્યમાં એક નહીં પણ ચાર-ચાર યાત્રા ધામ ગોલ્ડન ટેમ્પલ બની ગયા છે. આ માટે ચારે યાત્રાધામમાં મળીને કુલ 400 કિલો જેટલા સોનાનો ઉપયોગ થયો છે. આ સોનાની અંદાજીત કિંમત રુપિયા 120 કરોડ જેટલી થવા જાય છે.

52 શક્તિપીઠમાંથી એક અને ખૂબ જ પ્રસિદ્ધ યાત્રા ધામ અમ્બાજી મંદરનું શિખર પણ પૂર્ણરુપે સોનાથી મઢી લેવામાં આવી રહ્યું છે. આગામી 15મી ઓગસ્ટ સુધીમાં આ કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે. જેથી ભાદ્રપદ મહિનાની પૂનમના દિવસે અહીં ભરાતા વિશ્વપ્રસિદ્ધ મેળા પહેલા આ કામ પૂર્ણ થઈ જશે. આ મેળમાં દર વર્ષે અંદાજે 15 લાખ ભક્તો માતાના દર્શને આવે છે. શિખરને સોને મઢવામાં 140 સોનાનો ઉપયોગ થયો છે.

શ્રી આરાસુરી અમ્બાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર એસ.જે. ચાવડાએ કહ્યું કે, ‘મંદિરની હાઈટ 108 ફૂટ છે. જે પૈકી 61 ફૂટના શિખરને સોનાથી મઢી લેવામાં આવ્યું છે. જેના કારણે ચળકતું આ મંદિર ખૂબ દૂરથી પણ જોઈ શકાય છે. સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થઈ શકવા પાછળ તેમણે તાજેતરમાં સતત વરસતા વરસાદને કારણભૂત જણાવ્યો હતો. મૂળ પ્લાન પ્રમાણે કામ ઓગસ્ટની શરુઆતમાં જ પૂર્ણ કરી દેવામાં આવનાર હતું.

તેમણે કહ્યું કે, ‘આ માટેનું કામ 2010-11માં શરુ કરવામાં આવ્યું હતું. જેમાં મંદિરને શિખરને સોને મઢવા માટે પ્રતિજ્ઞા લઈને એક ખાસ બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું. જેમાં ભક્તો પોતાની ઇચ્છા મુજબ સોનાની ખરીદી માટે દાન આપી શકે તેવી વ્યવસ્થા હતી. માતાના ભક્તોએ ખૂબ જ સારો પ્રતિભાવ આપતા 2012માં જ ગોલ્ડ પ્લેટિંગનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતું.આ ઉપરાંત કેટલાક લોકોએ વ્યક્તિગત રીતે પણ મોટું દાન આપ્યું હતું. જેમાં ગાંધીનગરના ખોરાજ ખાતેના બિલ્ડર મુકેશ પટેલે 25 કિલો સોનાનું દાન આપ્યું હતું.

આ જ રીતે 12 જ્યોતિર્લિંગ પૈકી સૌ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું ગર્ભગૃહ અને પિલર પણ સોનેથી મઢવામાં આવ્યા છે. તેના માટે 120 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પૈકી 110 કિલો સોનું સુરત અને મુંબઈ ખાતે હિરા પેઢી ધરાવતા દિલિપ લાખી નામના ઉદ્યોગપતિએ દાન કર્યું છે. સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લહેરીએ કહ્યું કે, ‘ગર્ભગૃહ માટે લગભગ 60 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના સોનાથી મંદિરના પિલર અને શિખરને સોનાથી મઢી લેવામાં આવ્યા છે.

રાજયમાં મંદિરોને સોનેથી મઢવાનો ટ્રેન્ડ સ્વામિનારાયણ મંદિર ગઢડાથી શરુ થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે મુખ્ય તિર્થક્ષેત્ર એવા આ મંદિરના શિખને 2012માં 70 કિલો સોનેથી મઢવામાં આવ્યું હતું. જે બાદ બાકીના ભાગમાં સોનું મઢવામાં આવતા હાલ આ મંદિર 90 કુલો સોનાથી મઢાયેલ છે. 200 વર્ષ જૂનું આ મંદિર રાજ્યનું પહેલું સુવર્ણ મંદિર બન્યાનું ગૌરવ પણ ધરાવે છે.

જે બાદ બીજુ સુવર્ણ મંદિર 2015માં વડતાલ સ્વામિનારયણ મંદિર બન્યું હતું. વડતાલ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોમાં મુખ્ય તિર્થધામ છે. આ મંદિરને 115 કિલો સોનેથી મઢવામાં આવ્યું હતું. 4 વર્ષ સુધી 50 વ્યક્તિઓની ટીમે મળીને આ મંદિરના તમામ શિખર, પ્રવેશદ્વાર અને ગર્ભગૃહને સોનેથી મઢ્યું હતું.

(6:45 pm IST)