Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

લોકડાઉનના ૩ મહિનામાં રૂ. ૩૩૩૮ કરોડની બજાર કિંમતનું ૧૨૨ લાખ કવીન્ટલ અન્ન પુરવઠાનું વિનામૂલ્યે વિતરણ થયું

કોરોનાના કપરા કાળમાં ૩.૨૩ કરોડ ગરીબ-અંત્યોદય જનસંખ્યા અને ૧.૭૫ કરોડ મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો નવતર રાહ બતાવતું ગુજરાત

 

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના કોઇ નાગરિક-ગરીબ અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુવું ન પડે તેવી દર્શાવેલી સંવેદનાની ફલશ્રુતિને પરિણામે લોકડાઉનના ત્રણ માસ  એપ્રિલ-મે-જૂન માં સમગ્રતયા રૂ. ૩૩૩૮ કરોડની બજાર કિંમતનું ૧રર લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે આવા પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્રતયા ૩.ર૩ કરોડ NFSA લાભાર્થીઓ અને ૧.૭પ કરોડ મધ્યમવર્ગીય લોકો મળી ૪ કરોડ ૯૮ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું છે.

         મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થિતીમાં ધંધા-વ્યવસાય-રોજગાર-આર્થિક ગતિવિધિઓ ખોરંભે પડી ત્યારે હરેકને બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તે માટે એપ્રિલ માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા રાજ્યના વહિવટીતંત્ર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને પ્રેરિત કર્યા હતા.મુખ્યમંત્રીના દિશા નિદેર્શોમાં રાજય સરકારે લોકડાઉન જાહેર થયા બાદ તારીખ રપ/૩/ર૦ર૦ ના રોજ નિર્ણય કર્યો કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા ૬૬ લાખથી વધુ લાભાર્થીઓ પરિવારો અને અગ્રતા ધરાવતા PHH એવા ૩ લાખ પરિવારો એમ ૬૮.૮૦ લાખ પરિવારોને એપ્રિલ-ર૦ર૦ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેથી તેમને ઘરમાં અનાજ પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે.
          વિજયભાઇ રૂપાણીએ તારીખ રપ/૩/ર૦ર૦ના રોજ નિર્ણય કર્યા બાદ માત્ર ૧૦ દિવસના ટૂંકાગાળામાં જ અનાજ વિતરણની મોટાભાગની કામગીરી રાજયની ૧૭૦૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ હેતુસર ખૂબ જ ટૂંકાગાળામાં ૧ર લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખા, ૯૦ હજાર કવીન્ટલ ખાંડ, ૭૦ હજાર કવીન્ટલ ચણાદાળ તથા ૮૦ હજાર કવીન્ટલ મીઠું એમ કુલ મળીને ૧૯.૪૦ લાખ કવીન્ટલ અન્ન પુરવઠાને  જીલ્લા મથકો / તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષા સુધી વિતરણ કરવાની વ્યવસ્થાની  પડકારરૂપ કામગીરી રાજયના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ હેઠળના નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, તથા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ તથા તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ / કર્મયોગીઓએે સુપેરે પાર પાડી હતી.  
         એન.એફ.એસ.એ. અંતર્ગત લાભ મેળવતા અંત્યોદય અને અગ્રતા ધરાવતા ૬૮ લાખ પરિવારોને રાજ્ય સરકારે ૫૦૬ કરોડ રૂપિયાની બજાર કિંમતના ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે વિતરણ કરીને જરૂરીયાતમંદ પરિવારો પ્રત્યે આગવી સંવેદના દર્શાવી છે.
         મુખ્યમંત્રીએ એન.એફ.એસ.એ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો ઉદાત ભાવ દર્શાવ્યા બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ૬૧ લાખ APL-1 કાર્ડધારકો એવા મધ્યમવર્ગીય પરિવારોના ર.પ૦ કરોડ લોકોને તા. ૧૩ મી એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી હતી.
રાજ્યના કુલ ૬૧ લાખ APL-1 કાર્ડધારકોમાંથી ૭૦ ટકા એટલે કે ૪ર.પપ લાખ કાર્ડધારકોએ ૪.પ૦ લાખ કવીન્ટલ ઘઉં, ૧.૪૦ લાખ કવીન્ટલ ચોખા, ૪૦ હજાર કવીન્ટલ ખાંડ અને ચણા દાળ/ચણા મળીને કુલ ૬ લાખ ૭૦  હજાર કવીન્ટલ મળી એમ કુલ ૨૫૮ કરોડની બજાર કિંમતનો અન્ન પુરવઠો સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર દુકાનો પરથી સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સનું અનુપાલન કરીને મેળવ્યું હતું.  
         રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ વિતરણ ઉપરાંત ભારત સરકારે પણ જરૂરીયાતમંદ પરિવારોને લોકડાઉનના સમયગાળા દરમ્યાન ખાદ્યાન્ન પૂરતું મળી રહે તેવો ઉદાત્ત અભિગમ ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’’ દ્વારા દર્શાવ્યો છે.
           તદઅનુસાર, રાજ્યના NFSA કાર્ડધારક પરિવારોને એપ્રિલ માસમાં ૪૩૦ કરોડ રૂપિયાની બજાર કિંમતના ૧૧.૮૦ લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખાનું વિતરણ નિ:શૂલ્ક કરવામાં આવ્યું હતું.
            મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૬૦મા સ્થાપના દિવસ અવસરે રાજ્યના ૬૧ લાખ APL-1 કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોના અઢી કરોડ લોકોને પ્રવર્તમાન સ્થિતીમાં સતત બીજીવાર મે મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કરેલી જાહેરાત કરી હતી.
             લોકડાઉન લંબાવાની સ્થિતીમાં APL-1 કાર્ડધારક એવા ૬૧ લાખ મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુંવું ન પડે એેટલું જ નહિ, સૌને અનાજ મળી રહે તેવી સંવેદના સાથે મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય કર્યો હતો.  
             વિજયભાઇ રૂપાણીએ કરેલી આ જાહેરાત મુજબ રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ અન્ન પુરવઠાનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યું.
             રાજ્યના ૬૧ લાખ APL-1 કાર્ડધારકો પૈકી ૬૯ ટકા જેટલા એટલે કે  ૧ કરોડ ૭૩ લાખ લોકો એટલે કે ૪૨ લાખ જેટલા APL-1 કાર્ડધારકોએ આ યોજના તહેત રૂ. ૨૭૨ કરોડની બજાર કિંમતના ઘઉં, ચોખા, દાળ અને ખાંડ મળીને કુલ ૬ લાખ ૭૦ હજાર કવીન્ટલ અન્ન પુરવઠો વિનામૂલ્યે મેળવ્યો હતો.
             કોરોના વાયરસ સંક્રમણને પગલે મે મહિનામાં પણ લોકડાઉન યથાવત રાખવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. તદ્અનુસાર ગુજરાતમાં પણ લોકડાઉન મે મહિનામાં યથાવત રહેતાં ગરીબ, અંત્યોદય પરિવારોના પેટનો ખાડો પુરવા મુખ્યમંત્રીશ્રીએ મે મહિના માટે પણ ૬૮.૮૦ લાખ NFSA અને PHH રેશન કાર્ડધારકોને વિનામૂલ્યે સતત બીજીવાર અનાજ વિતરણનો નિર્ણય કર્યો હતો.
          આવા ૬પ.૯૧ લાખ પરિવારો એટલે કે કુલ NFSA પરિવારોના ૯૬ ટકા પરિવારોએ મે મહીના દરમ્યાન તેમને મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ અને મીઠું મળીને કુલ ૧૮.૭૦ લાખ કવીન્ટલ અનાજ જેની બજાર કિંમત ૪૭પ કરોડ રૂપિયા થવા જાય છે તે અનાજ વિનામૂલ્યે મેળવ્યું છે.
          પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ પણ મે મહિના દરમ્યાન આવા NFSA પરિવારોને આપવામાં આવ્યો અને રૂ. ૪૬૧ કરોડના બજાર મૂલ્યના ૧૭.પ૦ લાખ કવીન્ટલ ઘઉં, ચોખા અને ચણા દાળનું રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી વિનામૂલ્યે વિતરણ થયું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૬૮.૮૦ લાખ NFSA પરિવારોના વિશાળ હિતમાં વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય લઇને જૂન મહિના દરમ્યાન પણ તેમને વિનામૂલ્યે અનાજ વિતરણ માટે અન્ન નાગરિક પૂરવઠા વિભાગને પ્રેરિત કર્યો.
             વિજયભાઇ રૂપાણીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્યમાં ગત તા.૧પ થી ૩૦ જૂન દરમ્યાન આવા NFSA કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું. આ અનાજ વિતરણનો લાભ ૯પ ટકા પરિવારો એટલે કે ૬૫.૭૦ લાખ કાર્ડધારકોએ મેળવ્યો અને ૪૭પ કરોડ રૂપિયાના બજાર મૂલ્યના ૧ર લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખા, ૯૦ હજાર કવીન્ટલ ખાંડ અને ૮૦ હજાર કવીન્ટલ મીઠું વિનામૂલ્યે તેમને મેળવ્યા। તદઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ આવા NFSA કાર્ડધારકોએ રૂ. ૪૬૧ કરોડના અંદાજિત બજાર મૂલ્યના ૧૧.૮૦ લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખા અને ૭૦ હજાર કવીન્ટલ ચણા વિનામૂલ્યે મેળવ્યા છે.
            સામાન્ય રીતે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ધ્વારા દર માસે કાર્ડધારકોને આપવામાં આવતા અનાજ વિતરણની કામગીરી જે સમગ્ર માસ દરમ્યાન ચાલતી હોય છે તેને લોકડાઉનની સ્થિતિમાં માત્ર ગણતરીના સમયમાં પુરી કરવાનો પડકાર ઝીલી લઇને રોજીંદી કામગીરી કરતાં ત્રણ થી ચાર ગણી વધુ કામગીરી કરીને પણ નાગરિક પુરવઠા વિભાગના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ /કર્મયોગીઓએ /જીલ્લા સ્તરે વિતરણ વ્યવસ્થા સાથે નાગરિક પુરવઠા નિગમના અધિકારીશ્રીઓ / કર્મયોગીઓ / ગોડાઉન મેનેજરો તથા સસ્તા અનાજના દુકાનદારોએ સરળતાથી આ કપરા સમયમાં અનાજ વિતરણ વ્યવસ્થા સુનિયોજીત ઢબે પાર પાડી છે.
             કોરોના વાઇરસ (Covid-19)ના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશ્યીલ ડિસ્ટન્સ  જાળવીને અને સસ્તા અનાજની દુકાનો પર ભીડભાડ ન થાય તેની તકેદારી રાખવા સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ પણ  રાજય સરકારની આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે.
             રાજ્યનો કોઇ નાગરિક ભૂખ્યો ન સૂવે તેવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિબદ્ધતાને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, અન્ન નાગરિક પુરવઠા નિયામક હેઠળના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ અને નાગરિક પુરવઠા નિગમના જીલ્લા તથા તાલુકા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તથા કર્મયોગીઓએ મળીને સાકાર કરે છે.
            મુખ્યમંત્રીએ આ અનાજ વિતરણ વ્યવસ્થામાં સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમો અનુસરીને ભીડભાડ કર્યા વિના અનાજ મેળવવા આવેલા જરૂરીયાતમંદ પરિવારોની અને આ વિતરણ કામગીરી સુપેરે પાર પાડી રહેલા કર્મયોગીઓની કર્તવ્ય પરાયણતાને બિરદાવી છે.

(10:22 pm IST)