Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

દેડિયાપાડાના ઉમરાણ ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલકે સરકારી અનાજ સગેવગે કર્યું હોવાની ફરીયાદ

ઉમરાણ ગામના કાર્ડ ધારકે પોતે અનાજનો જથ્થો દુકાનમાથી લીધો ન હોવા છતાં ખોટા અંગુઠા પાડી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ:નર્મદા કલેક્ટર દેડિયાપાડા મામલતદારને લેખિત ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકારે રેશનકાર્ડ ધારકોને મફત સહિત વ્યાજબી ભાવે અનાજ આપવાની જાહેરાત કરી છે, તમામ કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવી રહયું છે જેમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા ના ઉમરાણ ગામના કાર્ડ ધારકે અનાજનુ વિતરણ કરતાં વ્યાજબી ભાવની દુકાનના સંચાલક વિરૂદ્ધ નર્મદા કલેક્ટર સહિત દેડિયાપાડા મામલતદારને લેખિત ફરિયાદ કરી અનાજ વિતરણમા ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.
   પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરાણ ગામ ખાતે દેવરામ દાદુભાઇ વસાવા રહે. પારસીટેકરા, દેડિયાપાડા નાઓ સસ્તા અનાજની દુકાન ચલાવતા હોય દુકાન પર મોટા ભાગે તેમના પત્નિ ઇંદુબેનને બેસાડતા હોય છે, મુજફફર અલી મકરાણી રહે.પારસીટેકરાના કોમ્પ્યુટર પર અનાજ ની કુપનો કાઢવાની હોય છે.ત્યારે ફરિયાદી રાયસીંગ ગીરીશભાઈ વસાવા રહે.ઉમરાણ ના પરિવારનો અનાજ નો જથ્થો આ દુકાન પરથી મળતો હોય તેમને સરકાર દ્વારા મફતમા આપવામાં આવતું અનાજ નિયમો નુસાર જથ્થામા આપવામાં ન આવતા તેમજ તેમના પરિવારના રેશનકાર્ડનો જથ્થો ગેરકાયદેસર રીતે કોમ્પ્યુટર સાથે ચેડાં કરી ખોટા અંગુઠાની છાપ પાડી અનાજ તેમને આપ્યા વિનાં અન્યત્ર સગેવગે કરાતો હોવાની ફરિયાદ તેમણે કરતા હવે આ બાબતે તટસ્થ તપાસ થશે કે ભીનું સંકેલાસે એ જોવું રહ્યું.
 સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વેબસાઈટ ઉપર ચેકીંગ કરતા પોતાના અનાજનો જથ્થો પોતે મેળવેલ નથી છતાં પણ વેબસાઈટ ઉપર તેમને અપાયેલાનુ જણાતાં અનાજના વિતરણમા મોટાં પ્રમાણમા ભ્રષ્ટાચાર દુકાનદાર દ્વારા આચરવામાં આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.ત્યારે આ પ્રકરણ મા યોગ્ય તપાસ થાય તો અનાજ ના વિતરણ મા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચાલતી હોવાનું બહાર આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં

(8:04 pm IST)