Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પેટલાદના દંતેલી પાટિયા પાસે બસ પલ્ટી જતા એકનું મોત: 56થી વધુને ઇજા

પેટલાદ: તાલુકાના દંતેલી પાટીયા પાસે આજે બપોરે ૧-૩૦ કલાકના સુમારે ભાવનગર જિલ્લાના બોટાદ ખાતેના સુકીયા મહાદેવ ખાતે પૂનમના દિવસે દર્શન કરીને પરત સોનગઢ વ્યારા જિલ્લાના તાપી પોતાના માદરે વતન ગામીત જ્ઞાતિના પરિવારજનો લક્ઝરી બસમાં જતા હતા. ત્યારે લક્ઝરી બસના ડ્રાયવરે સ્ટેયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા દંતેલી પાટીયા નજીક રોડ ઉપર દર્શનાર્થીઓથી ભરેલી બસ અચાનક પલટી જવા પામી હતી. જેના કારણે બસના મુસાફરો બચાવોની કરૂણ ચીસો પાડી હતી.જેના પગલે આસપાસના લોકો અને રાહદારીઓ એકત્ર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા.
આ દરમિયાન અકસ્માતમાં એન્જલબેન મુન્નાભાઈ ગામીત (ઉં.વ.૧૭, રહે. ભીમપુરા, તા. સોનગઢજિ. તાપી)નું સ્થળ ઉપર ગંભીર ઈજાઓના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર ઈજા પામેલા યાનીબેન રવિન્દ્રભાઈ ગામીત (ઉં.વ. ૩), હર્ષાબેન રમેશભાઈ (ઉં.વ. ૨૬), સંજયભાઈ મુન્નાભાઈ (ઉં.વ. ૨૫) તમામ રહે. ભીમપુરાને ૧૦૮ વાન દ્વારા વધુ સારવાર અર્થે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્થળ ઉપર અન્ય ૫૬ જેટલાઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેઓને પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બાદમાં ૧૦ દર્શનાર્થીઓને શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

(5:31 pm IST)