Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

આંબલીની પાસે ટ્રેનની હડફેટે આવતા બે મોત: માતા-પુત્રનું કરૂણ મોત નિપજ્યું

અમદાવાદ,તા. ૨: અમદાવાદ નજીક આંબલી રોડ રેલવે સ્ટેશન નજીક આજે સવારે ટ્રેનની અડફેટે એક માતા અને છ માસના પુત્રના કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને માતા અને તેના છ માસના બાળકની લાશ જોઇને ત્યાં દોડી આવેલા સૌકોઇમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. સમગ્ર બનાવ અંગે સાબરમતી પોલીસે પણ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આજે સવારે ૧૦ વાગ્યે બાંદ્રા-જામનગર ઈન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેન આંબલી રોડ રેલવે સ્ટેશનથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આઉટર સિગ્નલ પાસે ૨૫ વર્ષની મહિલા ૬ માસના બાળકને લઈ પાટા ક્રોસ કરી રહી હતી. દરમિયાન બંને ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ઘટનાના પગલે ટ્રેન રોકવામાં આવી હતી. સાબરમતી રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બંને મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. જો કે, બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને માતા-પુત્રની લાશ જોઇ સૌકોઇમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

(9:56 pm IST)