Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

કોરોના વાયરસ : સ્થિતિને પહોંચી વળવા ગુજરાત સરકાર સજ્જ છે

સરકારી હોસ્પિટલોમાં દવાઓ, માસ્ક સહિત કિટ પુરતા પ્રમાણમાં : ચીનથી આવેલ ૬૪ મુસાફર હાલ નિરીક્ષણ હેઠળ : તમામની તબિયત સારી છે : ભારતમાં ૧૭૭૧ પ્રવાસીઓ નિરીક્ષણ હેઠળ છે : ૭૫ના નમૂના લેવાયા

અમદાવાદ,તા.૧ : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાઈરસને ''પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન'' જાહેર કરી છે, ત્યારે ચીનથી પરત ફરી રહેલા નાગરિકોને તમામ પ્રકારની આરોગ્ય સારવાર પૂરી પાડવા ગુજરાત સરકાર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં નોવેલ કોરેનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી માટે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. આજે ગાંધીનગર ખાતે નોવેલ કોરોના વાઇરસ સંદર્ભે મીડિયાના મિત્રોને રાજ્ય સરકારે લીધેલા પગલાંઓની માહિતી આપતા ડૉ. રવિએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ રાજ્યમાં ૬૪ મુસાફરો ચીનથી આવ્યા છે જેમાં મહેસાણા જિલ્લાના ૨૪, પંચમહાલના ૭, સુરત કોર્પોરેશન ૭, અમદાવાદ કોર્પોરેશનમાં ૪, વડોદરા કોર્પોરેશનમાં ૪, રાજકોટ કોર્પોરેશનમાંમાં ૩, જામનગર કોર્પોરેશનમાં ૨, આણંદ કોર્પોરેશનમાં ૩, અમદાવાદ, ભાવનગર, દાહોદ, જામનગર, જૂનાગઢ, મહિસાગર, પાટણ, સુરત, જૂનાગઢ કોર્પોરેશન અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ મુસાફરોની તબિયત સારી છે અને તમામ નું જિલ્લાના સર્વેલન્સ અધિકારી દ્વારા ઘરે જઈને મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ચીન માં અભ્યાસ અર્થે કે ધંધાર્થે ગયેલા મુસાફરો જે પરત ફરી રહ્યા છે તે મુસાફરો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે તો આઈ.એમ.એ.ના સહકારથી તમામ ખાનગી ડોક્ટરોને સેન્સીટાઇઝ કરાયા છે. આ સાથે બાયસેગના માધ્યમથી દ્વારા તમામ જિલ્લા અધિકારીઓને પુરતું માર્ગદર્શન પણ રાજ્યકક્ષાએથી પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં નોવેલ કોરાના વાયરસ ની સારવાર માટે દવાઓ, માસ્ક સહિત પૂરતા પ્રમાણમાં કીટ ઉપલબ્ધ છે.  ડૉ. રવિએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા મળેલ સૂચના મુજબ અમદાવાદ એરપોર્ટ પર ચીન, હોંગકોંગ, સિંગાપુર, થાઇલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયામાં થી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને ચીનના વુહાન પ્રાંતમાંથી આવેલા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરાયુ છે અને સેમ્પલ લઇને પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પરત ફરેલા મુસાફરોને આરોગ્ય સહિતની તમામ સવલતો આપીને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.  ડૉ. રવિએ કહ્યુ હતું કે, અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રિનિંગ માટેની સુવિધાઓ તૈનાત કરાઇ છે. વડોદરા, સુરત, રાજકોટ એરપોર્ટ પર પણ હેલ્થ ડિસ્પ્લે કરાયા છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ બનાવી ને આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. રાજ્યના બંદરો ખાતે પણ રોગ અટકાવવાની પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય કમિશનર કચેરી, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે પણ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેના દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તમામ આરોગ્ય કર્મીઓની કોરોના વાયરસ અંગેની તાલીમ આપવામાં આવી છે. ચીનમાં કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. ચીનમાં ભારે ખળભળાટ મચી ગયો છે.  ચીનમાં હજારોની સંખ્યામાં કેસો સપાટી ઉપર આવ્યા છે. કોરોના વાયરસના આતંકથી દુનિયાના ૧૯ દેશો ગ્રસ્ત થયા છે. ભારતમાં પણ કેરળમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે. કોરોના વાયરસ અંગે દુનિયાના દેશોમાં પગલા લેવાઈ રહ્યા છે. એરપોર્ટ ઉપર હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાયરસનો કાળો કેર જારી છે.

કોરોનાનો કાળો કેર.....

અમદાવાદ, તા. ૧ : કોરોના વાયરસનો કાળો કેર દુનિયાભરમાં જારી રહ્યો છે. તેનો આંકડો નીચે મુજબ છે.

કુલ દેશો અસરગ્રસ્ત........................................ ૧૯

૧૯ દેશોમાં કેસ.......................................... ૮૮૨૬

ચીનમાં કેસોની સંખ્યા................................. ૯૭૨૦

ચીનમાં મોતનો આંકડો.................................. ૨૧૩

ભારતમાં લોકો નિરીક્ષણમાં.......................... ૧૭૭૧

ભારતમાં સેમ્પલ લેવામાં આવ્યા........... ૭૫ પ્રવાસી

ભારતમાં કેસ પોઝિટિવ........................ ૦૧ (કેરળ)

કોરોનામાં મૃત્યુદર.......................................... ૨.૧

 

(8:29 pm IST)