Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

સ્ત્રીબીજ કાઢી લેવાના કેસમાં બે મહિલાની ધરપકડ કરાઈ

ગાયનેક નિસર્ગ પટેલ અને બે નર્સ હજુ પણ ફરાર : મુખ્ય સૂત્રધાર પિયુષ પટેલની પોલીસ ધરપકડ કરી ચુકી છે : ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન

અમદાવાદ,તા. ૨ : પૈસાની લાલચમાં હોમગાર્ડમાં ફરજ બજાવતી યુવતીનું સ્ત્રી બીજ કાઢી નાંખવાના ચકચારભર્યા પ્રકરણમાં રામોલ પોલીસે આરોપી ડોકટર પિયુષ પટેલની ધરપકડ કર્યા બાદ બે મહિલા એજન્ટ વનિતા  અને ખુશબુની ધરપકડ કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. હજુ આ કેસમાં ગાયનેકોલોજિસ્ટ ડો.નિસર્ગ પટેલ અને અન્ય બે નર્સ ફરાર છે. ડો.નિસર્ગ પટેલ તો ગુજરાત બહાર ફરાર થઇ ગયો હોવાનું પોલીસને જાણવા મળતાં હવે પોલીસે આ નાસતા ફરતા આરોપીઓને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.  લેતાં તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપી બીએચએમએસ ડો.પિયુષ પટેલે મૃતક સોનલ પરમારનું કાનપુર ખાતે લઇ જઇ હોસ્પિટલમાં સ્ત્રી બીજ કાઢી લેવડાવ્યું હતું. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ડો.પિયુષ પટેલ સહિત છ આરોપીઓ વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. તબીબી આલમ સામે ગંભીર સવાલો અને શંકા ઉઠાવતાં આ ચકચારભર્યા પ્રકરણમાં મૃતક સોનલ પરમારના ભાઇ ભાવેશ સુરેશભાઇ પરમારે રામોલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ,  બાપુનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતી અને  હોમગાર્ડમાં ફરજ બજાવતી સોનલ સુરેશભાઇ પરમાર નામની યુવતી ૨૦૧૭માં  ખુશબુ, વનિતા, નીકી અને પિન્કીબહેન સાથે સંપર્કમાં આવી હતી, જેઓએ તેને રૂ.૧૫ હજારની લાલચમાં સ્ત્રી બ્રીજ આપવા ઉશ્કેરણી કરી હતી. સોનલ પરમાર ગત તા.૧૯-૩-૨૦૧૭ના રોજ ઘરેથી કેમ્પમાં જવાનું કહીને નીકળી હતી અને તા.૨૩ માર્ચ,૨૦૧૭ના રોજ તેણી ઘેર આવી હતી ત્યારે તેની તબિયત બહુ ખરાબ હતી. તેને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હોઇ વસ્ત્રાલ ચાર રસ્તા પાસે પુષ્પ કોમ્પલેક્ષમાં ડો.પિયુષ પટેલ અને ડો.નિસર્ગ પટેલની બોપલ સ્થિત નિશા વુમન્સ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે, તેણીની તબિયત વધુ બગડતાં તેને ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જયાં પંદર દિવસ સુધી તેને આઇસીયુમાં દાખલ રાખવામાં આવી હતી એ પછી તેની તબિયતમાં સુધારો જણાતાં તેને રજા આપવામાં આવી હતી. દરમ્યાન સોનલ પરમારે તેના ફરિયાદી ભાઇને એ વખતે વાત કરી હતી કે, બાપુનગરમાં ગરીબનગરના છાપરામાં રહેતી ખુશ્બુબહેન પરમારે તેણીને લાલચ આપી હતી કે, જો તારે પૈસા કમાવવા હોય તો એક ડોકટર છે અને તું જો તું તારું સ્ત્રીબીજ આપીશ તો તને રૂ.૧૫ હજાર મળશે. ત્યારબાદ તેની ઓળખાણ વનિતા નામની એક મહિલા સાથે કરાવી હતી. તે તેણીને ડો.પિયુષ પટેલની હોસ્પિટલમાં લઇ ગયા હતા, જયાં ડોકટરોએ તેને સ્ત્રીબીજના બદલામાં રૂ.૧૫ હજાર આપવાની લાલચ આપી હતી. બાદમાં તેને સોનોગ્રાફી બાદ દસ દિવસ સુધી ઇન્જેકશનો આપવામાં આવ્યા હતા અને વડોદરાને બદલે તેણીને કાનપુર લઇ જવાઇ હતી અને કાનપુરમાં તેનું સ્ત્રીબીજ કાઢી લેવામાં આવ્યું હતું. ઇન્જેકશનોના ઓવરડોઝના કારણે સોનલ પરમારની બંને કિડનીઓ ફેઇલ થઇ ગઇ હતી અને તેની તબિયત બહુ જ ગંભીર બનતાં તેને શહેરની સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જયાં તા.૭-૧૦-૨૦૧૭ના રોજ મૃત્યુ થયુ હતું.

(8:42 pm IST)