Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ૨૧ નવા અદ્યતન ઓપરેશન થિયેટરના લોકાર્પણ: દેશભરના દર્દીઓની સુખાકારીમાં વધારો થશે

રાજ્યની સૌપ્રથમ સ્કીન બેંક બનાવવા રોટરી ક્લબ અમદાવાદ અને સિવિલ હોસ્પિટલ વચ્ચે MOU થયા: આગામી 6 માસમાં સ્કીન બેંક કાર્યરત થશે:સિવિલ હોસ્પિટલની જનસેવાનો ૧૭૯ વર્ષથી અવિરત પ્રવાહ વહી રહ્યો છે: નીતિનભાઇ પટેલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ૨૧ ઓપરેશન થીયેટરનું લોકાર્પણ કરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યુ કે આજના નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 21 ઓપરેશન થીયેટર સમ્રગ દેશભરમાંથી આવતા દર્દીઓની જનસુખાકારીમાં વધારો કરશે.
  નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે જ્યારે જ્યારે પણ માનવતાનો સાદ પડ્યો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાંથી આવતા દર્દીનારાયણની નિઃસ્વાર્થ ભાવે, રાત-દિવસ જોયા વિના સેવા-સુશ્રુષા કરી છે. “મે આઇ હેલ્પ યુ” ની સાથે “મે આઇ કેર યુ” ની સમાજ ભાવના રાખીને સર્વે દર્દીઓની સેવા કરી  છે.
રાજ્ય પર આવી પડેલી ભલભલી આપત્તિઓ, અને કુદરતી હોનારતોમાં સિવિલ હોસ્પિટલ અને અહીના કુશળ તબીબોએ રાજ્યભરમાં સેવા બજાવીને પોતાની કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ વખતોવખત પુરૂ પાડ્યુ છે તેમ તેઓએ ઉમેર્યુ છે.
   ગુજરાતની વર્તમાન સંવેદનશીલ સરકારે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ સઘન અને આધુનિક બનાવવામાં કોઇ કચાશ રાખી નથી જ્યારે જ્યારે આક્સિમક આપદા સમયની જરૂરિયાત હોય કે સામાન્ય જરૂરિયાત રાજ્ય સરકારે તમામ જરૂરિયાતોને રાજ્યની તમામ હોસ્પિટલને સંતોષી છે તેમ નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ.
  પટેલે જણાવ્યુ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજે રાજ્ય તેમજ રાજ્ય બહારથી આવતા દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો થાય તે માટે 21 ઓપરેશન થીયેટર, અત્યાધુનિક CSSD, સૂચિત સ્કીન બેંક કાર્યરત કરાવવામાં આવી છે. 2021 ના નવા વર્ષમાં આ વિવિધ પ્રકલ્પો જનસુખાકારીમાં વધારો કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓની કાર્યદક્ષતા વધુ અસરકારક બનાવશે. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરથી લઇ સમગ્ર હોસ્પિટલમાં તબક્કા પ્રમાણે સ્વાસ્થય જરૂરિયાત, મશીનરી, અત્યાધુનિક ઉપકરણોની જરૂરિયાત સંતોષીને તમામ સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહી છે.
  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતા કહ્યુ કે દેશની અત્યાધુનિક મેડિસીટીના સેવેલા સ્વપ્નને આગળ ધપાવવા રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે તેનું આજના પ્રકલ્પો શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓએ વધુમાં ઉમેર્યુ કે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ, હ્યદયરોગની હોસ્પિટલ, પેરા પ્લાઝિયા ઇન્સ્ટિટ્યુટ, મહિલાઓ અને બાળકો માટેની અલાયદી હોસ્પિટલ, બી.જે. મેડિકલ કોલેજ, નર્સિગ હોસ્ટેલ જેવી તબીબી સુવિધાઓ ફક્ત રાજ્ય જ નહીં પરંતુ દેશભરમાંથી આવતા દર્દીઓની સ્વાસ્થય સુવિધાઓ અને જન સુખાકારીમાં અનેકગણો વધારો કરી રહી છે.જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પના હતી જે આજે સાકાર થઇ રહી છે.
   અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય જ નહીં પરંતુ રાજ્ય બહારથી આવતા દર્દીઓને પણ સામાન્ય થી લઇ અતિગંભીર બિમારી, સર્વસામાન્ય થી લઇ અતિજટિલ સર્જરી વિનામૂલ્યે કરીને, કોરોનાકાળમાં 1200 બેડ હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓની અત્યંત મોંધા ઇન્જેક્શન થી લઇ તમામ પ્રકારની ગંભીર અને લાંબી સારવાર વિનામૂલ્યે ઉપલ્બધ કરાવીને રાજ્ય સરકારે ખરા અર્થમાં સંવેદનશીલ સરકારની પરિકલ્પના સાકાર કરી છે તેમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
  અમદાવાદ સિવિલ સંકુલમાં કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની કામગીરી સમગ્ર દેશમાં કર્તવ્યનિષ્ઠાના અને સેવાભાવનાનું આગવું ઉદાહરણ પુરુ પાડ્યુ છે. તાજેતરમાં જ રાજકોટમાં રાજ્યની પ્રથમ એઇમ્સ ઇન્સ્ટીટયુટના ઉદ્ધાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ ગુજરાતની કોરોનાના કપરા કાળમાં કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કરાયેલ કોરોના કામગીરી પ્રત્યે તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો તેમ નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ.
  વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ બાદ સિવિલ હોસ્પિટલના અસ્મિતાભવન ખાતે યોજાયેલ સમારંભમાં નાયબ મુખ્યમંત્રી શ્રીએ સિવિલ હોસ્પિટલના માધ્યમથી રાજ્યના મેડિકલ , પેરામેડિકલ તેમજ તમામ ક્ષેત્રના કોરોના વોરીયર્સ પ્રત્યે સન્માનની લાગણી વ્યકત કરીને તેમની કાર્યક્ષમતા અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.
  રાજ્ય આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિએ કોરોના મહામારીમાં સતત ખડેપગે રહી પોતાની જવાબદારીને સંવેદનશીલ રીતે નિભાવી રહેલા સિવિલ હોસ્પિટલના તબીબોથી લઇ પેરામેડિકલ, સફાઇકર્મીઓ સહિત તમામ તંત્રની કામગીરીની પ્રસંશા કરી હતી.તેઓએ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત SOTTO (STATE ORGAN TRANSPLANT AND TISSUE ORGANIZATION)ની કામગીરીને વધુ સધન અને અસરકારક બનાવવા માટે તમામ તબીબો અને અન્ય સ્ટાફમિત્રો, કાઉન્સીલરને પ્રેરણા આપી હતી. તેમણે NABH અંતર્ગત એક્રીડેશન મેળવી સિવિલ મેડીસીટીની તમામ હોસ્પિટલ અને ઇન્સ્ટીટ્યુટને વધુતા ગુણવત્તાસભર બનાવવા કહ્યુ હતુ.
  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે રોટરી કલ્બ અને સિવિલ હોસ્પિટલ વચ્ચે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે રાજ્યની પ્રથમ સ્કીન બેંક બનાવવા ના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્ય કમિશ્નર  જયપ્રકાશ શીવહરે,સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી, સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલ અને ઇન્સ્ટીટ્યુટના ડીન , ડાયરેક્ટર,આરોગ્ય વિભાગના અધિકારી અને પદાધિકારીઓ,  તબીબી તજજ્ઞો, સહિત સિવિલ હોસ્પિટલ તંત્રના સ્ટાફ મિત્રો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

(6:10 pm IST)