Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

વિધાનસભાનું સત્ર ૧૦મી જાન્યુઆરીના દિને યોજાશે

વૈધાનિક અનએ સંસદીય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત : પાક, બાંગ્લા, અફઘાનમાંથી આવેલા ત્યાંના લઘુમતિઓને નાગરિકતા આપવા માટે કેન્દ્રના નિર્ણયને સમર્થન અપાશે

અમદાવાદ, તા. ૨ : વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લઘુમતિ સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને વિધાનસભામાં સમર્થન અપાશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની બેઠકોના આરક્ષણ માટેના કરાયેલા ઐતિહાસિક સુધારાને પણ બહાલી આપવા માટે ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી તા. ૧૦મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બોલાવવાનું રાજ્યપાલશ્રી દ્વારા આહવાન કરવામાં આવશે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે બંધારણના આર્ટીકલ ૧૭૬ની જોગવાઇ મુજબ નવા વર્ષના પ્રથમ સત્રનો શુભારંભ રાજ્યપાલના સંબોધનથી થશે. ત્યારબાદ રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની દરખાસ્ત લાવીને રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કરાશે. જાડેજાએ ઉમેર્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠકો માટેનું આરક્ષણ તથા એગ્લો ઇન્ડીયન જાતિનું પ્રતિનિધિત્વને વધુ ૧૦ વર્ષ માટે લંબાવવાના આશયથી ભારતના બંધારણમાં ૧૨૬મો સુધારો કરતો ખરડો સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે.

            આ સુધારાને ભારતના બંધારણના આર્ટીકલ ૩૬૮ની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા ૫૦ ટકા રાજ્યોના વિધાન મંડળો દ્વારા બહાલી મળવી જરૂરી છે. આવી બહાલી મળ્યા બાદ જ રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી માટે ખરડો મોકલી શકાય એવી જોગવાઇ હોઇ, ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ આ સુધારાને સભાગૃહની બહાલી આપવા પ્રસ્તાવ લાવવામાં આવશે. શ્રી જાડેજાએ ઉમેર્યું કે દેશની લોકસભામાં અને રાજ્ય સભામાં પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં વસતા ત્યાંના લઘુમતી સમુદાય (હિન્દુ, પારસી, શીખ, બૌધ્ધ, ખ્રિસ્ત્રી, જૈન) કે જેઓ ભારતમાં ૩૧ ડીસેમ્બર ૨૦૧૪ પહેલાથી વસવાટ કરે છે તેમને ભારતનું નાગરિકત્વ આપવા માટેના ઐતિહાસિક નિર્ણય કરાયો છે. આનાથી ભારતના લઘુમતિ સમુદાયને કે તેમના નાગરિકત્વ પર કોઇ અસર થવાની નથી. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયને સમર્થન આપવા માટે વિધાનસભા સત્રમાં આ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે.

(8:37 pm IST)