Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વાલી મંડળ સુપ્રીમમાં અરજી ફાઇલ કરાય તેવી પ્રબળ વકી

કમીટીમાં વાલી પ્રતિનિધિત્વ માટે અપીલ કરાશે : ફી કમીટીમાં વાલીઓના પ્રતિનિધિત્વના મામલે ગુજરાત હાઇકોર્ટે રાહત ન આપતાં વાલીમંડળમાં હાલ નારાજગી

અમદાવાદ,તા. ૨ : કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વન એજયુકેશન પોલિસીની માંગણી સાથે તેમ જ ફી નિયમન કમીટીમાં વાલીઓના પ્રતિનિધિત્વને સમાવવાની દાદ માંગતી ગુજરાત સહિત દેશના અન્ય રાજયોના વાલીમંડળો દ્વારા હવે સુપ્રીમકોર્ટમાં પિટિશન ફાઇલ કરાય તેવી શકયતાઓ પ્રબળ બની છે. ખાનગી સ્વનિર્ભર શાળા ફી નિયમન કાયદા-૨૦૧૭ને પડકારતી સ્વનિર્ભર શાળાઓની ઢગલાબંધ રિટ અરજીઓ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં વાલીઓ તરફથી પણ સરકાર દ્વારા રચાયેલી ફી નિયમન કમીટીમાં વાલીઓને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરાઇ હતી જો કે, આ મુદ્દે હાઇકોર્ટે વાલીઓને કોઇ રાહત આપી ન હતી. દરમ્યાન દિલ્હી ખાતે દેશના ૨૫ રાજયોના વાલીમંડળોની મળેલી બેઠકમાં હવે વન એજયુકેશન પોલિસી અને ફી નિયમન કમીટીમાં વાલીઓના પ્રતિનિધિત્વને સ્થાન આપવાની માંગણી સાથે સુપ્રીમકોર્ટમાં ગુજરાત સહિત વિવિધ વાલીમંડળો દ્વારા પિટિશન ફાઇલ કરાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ફી નિયમન કાયદાને કાયદેસર અને યથાર્થ ઠરાવતાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી નારાજ સ્વનિર્ભર શાળાઓ દ્વારા પણ સુપ્રીમકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવનાર છે અને તેથી રાજય સરકારે પણ સ્વનિર્ભર શાળાઓ પિટિશન દાખલ કરે તે પહેલાં પોતે અગમચેતીના પગલારૂપે કેવીયેટ દાખલ કરવાની  તજવીજ હાથ ધરી છે. તો હવે વાલીઓ દ્વારા સુપ્રીમકોર્ટમાં પિટિશન ફાઇલ કરવાની તૈયારીઓ આરંભી છે. આમ, ગુજરાત હાઇકોર્ટમાં જે પક્ષકારો હતા, તે તમામે એક રીતે સુપ્રીમકોર્ટમાં પહોંચવાની તજવીજ હાથ ધરી છે, તેથી આ કેસની સુપ્રીમકોર્ટમાં હાથ ધરાનારી સુનાવણી ઘણી મહત્વપૂર્ણ બની રહેશે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હવે એકબાજુ, દિલ્હી ખાતે ૨૫ રાજયોના વાલીમંડળોની મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવી હતી તો બીજીબાજુ, આગામી તા.૧૦મી જાન્યુઆરીએ ગુજરાત રાજયના વાલીમંડળ દ્વારા શાળા બંધનું એલાન અપાય તેવી પણ શકયતા પ્રવર્તી રહી છે. વાલીમંડળની માંગણી છે કે, સ્વનિર્ભર શાળાઓ ગુજરાત હાઇકોર્ટમાં હારી ગઇ હોઇ અને હવે ફી નિયમન કાયદા પર કાયદેસરતા અને બંધારણીયતાની મંજૂરીની કાનૂની મ્હોર વાગી ગઇ હોવાથી સરકારે તાત્કાલિક રીતે સમગ્ર રાજયમાં આ કાયદાની કડક અમલવારી કરાવવી જોઇએ. એટલું જ નહી, જે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવાઇ છે, તે તેઓને પરત કરવી જોઇએ.

(8:31 pm IST)