Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કરમસદમાં પતિએ અસહ્ય ત્રાસ ગુજારી છૂટાછેડાની ધમકી આપતા પરિણીતાએ ફાંસોખાઇ જીવનલીલા સંકેલી લીધી

આણંદ : આણંદ પાસેના કરમસદ ગામે પતિ દ્વારા અસહ્ય ત્રાસ ગુજારી છૂટાછેડા આપવા બાબતે ધાકધમકી આપતા પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આયખુ ટૂંકાવી દીધું હોવાનો બનાવ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે પિતાની ફરીયાદના આધારે પતિ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ કપડવંજ તાલુકાના ગોહિલના મુવાડાના વતની અને હાલ અમદાવાદ થલતેજ ખાતે રહેતા દિનેશસિંહ મણીસિંહ ગોહિલની પુત્રી જાગૃતિબેનને લગ્ન આજથી બે માસ પૂર્વે આણંદ પાસેના કરમસદ ગામે રેલ્વે ફાટક પાસે જત્રંજ સોસાયટીમાં રહેતા પ્રયાગકુમાર બળવંતસિંહ બિહોલા સાથે થયા હતા. જો કે બે માસના લગ્ન ગાળા દરમ્યાન પતિ દ્વારા તું મને ગમતી નથી તેમ કહી છૂટાછેડા આપવા બાબતે અવારનવાર ધાકધમકીઓ આપવામાં આવતી હતી. જેથી જાગૃતિબેને છૂટાછેડા આપવાની ના પાડતા પતિ પ્રયાગકુમાર દારુ પીને અવારનવાર જાગૃતિબેન સાથે મારઝૂડ કરી શારિરીક માનસિક ત્રાસ ગુજારતા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. પતિ દ્વારા ગુજારવામાં આવતા શારિરીક માનસિક ત્રાસથી ત્રસ્ત થઈ પરિણીતાએ માત્ર બે માસના લગ્નજીવન બાદ કરમસદ ખાતેના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે જાગૃતિબેનના પિતા દિનેશસિંહ મણીસિંહ ગોહીલે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે પતિ પ્રયાગકુમાર બળવંતસિંહ બિહોલા વિરુધ્ધ આત્મહત્યા કરવા મજબૂર કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:56 pm IST)