Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ખેતરમાંથી ઘરે જવાનું કહી નીકળેલ આણંદની યુવતી અચાનક ગુમ થતા પરિવારમાં ચિંતાનો માહોલ

આણંદ : આણંદ જિલ્લામાં ગુમ થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. વિતેલા દિવસો દરમ્યાન ખંભાત તાલુકાના વિંછીયાપુરાની યુવતી અને બોરસદ તાલુકાના જંત્રાલ ગામનો પુરૂષ રહસ્યમય રીતે લાપતા થયા હોવાના બે અલગ-અલગ બનાવો અનુક્રમે ખંભાત ગ્રામ્ય અને વીરસદ પોલીસ મથકે નોંધાયા છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના વટાદરા-વીંછીયાપુરા ખાતે રહેતા મોતીભાઈ કાશીભાઈ ઠાકોરની ૨૧ વર્ષીય પુત્રી જ્યોતિકાબેન ગત તા.૨૬મી જુલાઈ-૨૦૨૨ના રોજ પોતાના ખેતરેથી ઘરે જવાનું કહી નીકળ્યા બાદ ઘરે નહી પહોંચી રહસ્યમય રીતે લાપતા થઈ હતી. તેણીની આસપાસના વિસ્તાર તેમજ સગા-વ્હાલામાં શોધખોળ કરતા-કરાવતા કોઈ પત્તો લાગ્યો નહતો. આખરે આ બનાવ અંગે ગીતાબેન મોતીભાઈ ઠાકોરે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુમ થવાના અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના જંત્રાલ ગામે વીરસદ રોડ ઉપર બળિયાદેવ મંદિર પાસે રહેતા શનાભાઈ ભૂપતભાઈ પરમાર (ઉં.વ.૪૧) ગત તા.૨૬મી જુલાઈ-૨૦૨૨ના રોજ ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપતા થયા હતા. તેઓની આસપાસના વિસ્તાર સહિત સગાવ્હાલામાં શોધખોળ કરતા-કરાવતા મળી ન આવતા આ બનાવ અંગે વિનુભાઈ ભૂપતભાઈ પરમારે વીરસદ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:56 pm IST)