Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કંપનીઓ દ્વારા ખેડૂતોને કનડગત કરવામાં આવતા સાબરકાંઠા જીલ્લાના ખેડૂતોએ કંપની સામે બાંયો ચડાવીઃ આગામી દિવસોમાં રણનીતિ ઘડાશે

પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે હાલાકી

સાબરકાંઠા: કોન્ટ્રેક્ટ ફાર્મિંગ થકી બટાકા પકવતા ખેડૂતો પ્રાંતિજના સોનાસણ ગામે એકઠા થઇ અલગ અલગ મુદ્દાઓ સાથે કંપનીઓ સામે બાયો ચડાવી છે. પોષણ ક્ષમ ભાવો અને ખેડૂતની જાણ બહાર થતી કપાત બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને અગામી દિવસમાં શું કરવું તેની રણનીતિ પર ચર્ચા પણ કરવામાં આવી હતી.

ગુજરાતના સ્થાનિકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે અને એમાં પણ ઉત્તર ગુજરાતના ખેડૂતો સૌથી વધુ રવિ સિઝન દરમિયાન કોન્ટ્રેક્ટ આધારિત બટાકાનું વાવેતર કરી ઉત્પાદન કરતા હોય છે. ત્યારે કંપનીઓ કેટલીક બાબતોમાં ખેડૂતોને છેતરતી હોય છે. સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ સંગઠિત થઈ કંપનીઓ સામે બાયો ચડાવી છે.

ફાર્મિંગ ખેડૂત સંગઠન સંમેલનમાં બનાસકાંઠાના હમીરગઢના ખેડૂત પ્રતિનિધિ અને સાબરકાંઠાના વડાલી ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને વાવેતર બાદ કંપનીઓ ખેડૂતો સાથે કરતી કનડગત વિષેની ચર્ચા કરવામાં આવી હતી. કંપનીઓ વાવેતર પહેલા ખેડૂતો સાથે ભાવો અને અલગ અલગ મુદા સાથે કરાર કરતા હોય છે. જેમાં ખેડૂતોને ગત વર્ષે 180 થી 210 રૂપિયા પ્રતિ મણે ભાવ ચૂકવ્યા હતા.

પરંતુ વધતી મોંઘવારી સામે આ ભાવો પોષાય એમ ના હોવાને લઇ હવે ખેડૂતો સંગઠિત થઈ કંપનીઓ પાસે પ્રતિ મણે 300 રૂપિયા કરતા વધુ ભાવોની માંગ કરી છે. એક તરફ ખેડૂતો કુદરત સાથે બાથ ભીડાવી ખેત ઉત્પાદન મેળવી રહ્યો છે. તો બીજી તરફ વધતી મોંઘવારી અને પોષણ ક્ષમ ભાવો ના મળવાને લઈ આખરે ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હવે ખેડૂતો સંગઠિત થઈ કંપનીઓ સામે બાયો ચડાવવાનું નક્કી કરી લીધું છે.

આજે એકઠા થયેલા ખેડૂતોએ કંપનીઓ સાથે પોતાના મુદ્દાઓ સાથે કરાર કરવા માટે શપથ લીધા છે. પ્રતિ મણે 300 રૂપિયા કરતા વધુ ભાવો અને ઉત્પાદન બાદ જ્યારે વજન કરવામાં આવે ત્યારે થતી કપાત દૂર કરવા ખેડૂતોએ મન બનાવી લીધું છે અને જો કંપીઓ આ બાબતે જો કંપનીઓ સહમત નહીં થાય તો કંપનીઓ સાથે કરાર નહીં કરી બટાકા વાવણી નહીં કરવાનું મન બનાવી લીધું છે.

એક તરફ ખેડૂત વાવેતરથી લઈને ઉત્પાદન સુધીની પાયાની પાયાની જરૂરિયાત એવા રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બિયારણ અને ડીઝલના ભાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. પરંતુ એની સામે ખેત ઉત્પાદનના ભાવો પોષણ ક્ષમ ના મળતા હોવાને લઇ ખેડૂતો સંગઠિત થયા છે. ત્યારે હવે જો કરાર દરમિયાન 300 રૂપિયા પ્રતિ મણે ભાવ નહીં મળે તો ખેડૂતો કરાર આધારિત બટાકા પકવવાથી અળગા રહેશે.

(4:32 pm IST)