Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

પાલનપુરમાં ૩૦૦ વેપારીઓને નોટિસ: વેરો નહી ભરે તો મિલ્કતો સીલ કરાશે

વ્યવસાય વેરો ન ભરનારા વેપારીઓ સામે પાલિકાની કડક કાર્યવાહી

પાલનપુર :શહેરમાં વ્યવસાય વેરો ન ભરનારા વેપારીઓ સામે પાલિકા તંત્રએ કડક કાર્યવાહી કરવા તૈયારી શરૂ કરી છે પાલિકાએ વેરો ન ભરનારા ૩૦૦ વેપારીઓને નોટિસ ફાટકરી છે તેમજ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

સમગ્ર બાબતે વ્યવસાય વેરા અધિકારી કમલેશ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, વર્તમાન સમયે પાલિકામાં ૮૭૦૦ વેપારીઓએ પોતાના વ્યવસાયની નોંધણી કરાવી છે. જોકે, તેમાંથી મોટાભાગના વેપારીઓ વ્યવસાય વેરો ભરપાઇ કરતા નથી. આથી પાલિકા દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. જે અંતર્ગત ૩૦૦ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે.

નોટિસમાં જણાવાયું છે કે, જો ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં વ્યવસાય વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાલિકાની આ કાર્યવાહીના પગલે વ્યવસાયવેરા બાકીદારોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

(8:01 pm IST)