Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ગુજરાત સ્થાપના દિનઃ સહુ પહેલા અમદાવાદ પાટનગર હતું: આજે રાજધાની ગાંધીનગર છે...

રાજયભાષા - ગુજરાતી : રાજય પ્રાણી-સિંહ : રાજયપક્ષી- સુરખાબ : રાજય વૃક્ષ-આંબો : રાજય ફુલ- ગલગોટો : રાજય નૃત્ય- ગરબો : રાજય રમત- કબડ્ડી

દેશને અંગ્રેજોના રાજમાંથી મુકત કરાવી અને દેશવાસીઓને સ્વાતંત્ર્યના શ્વાસ બક્ષવામાં ગુજરાતની મહત્ત્વની ભૂમિકા છે, જો કે આજેવાત ગુજરાતના દેશની આઝાદીના યોગદાન અંગેની નર્હીં પરંતુ એ દેશપ્રેમી, વિકાસશીલ ગુજરાત રાજયની રચના અને તેના અનોખા ઇતિહાસની કરવાની છે. દેશભરમાં વિવિધ તબકકે ભાષાવાર રાજયો રચવાની ભલામણ કરાઇ જો કે, મુંબઇ રાજયનું વિભાજન કરવામાં આવ્યું નહોતું, તેની પાછળનું કારણ ગુજરાત અને મુંબઇના આર્થીક હિતોહતા અને તે સમયના રાષ્ટ્રીય નેતાઓ પણ મુંબઇના બે ભાગ ના પડે તેવું ઇચ્છતા હતા, જોકે પ્રજાને તે સ્વિકાર્ય નહોતું, અને મહાગુજરાત ચળવળ હાથ ધરવામાં આવી. વર્ષ ૧૯૬૦માં મુંબઇ રાજયનું વિભાજન કરવામાં આવ્યું, જેમા એક રાજય બન્યું મહારાષ્ટ્ર અને બીજું બન્યું ગુજરાત.

જયારે મહાગુજરાત ચળવળ શરૂ કરવામાં આવી ત્યારે પ્રત્યેક ગુજરાતીએ ધર્મ અને જાતિને પર થઇને એક ગુજરાતીના રૂપમાં આ ચળવળમાં ભાગ લીધો હતો. તે સમયે ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમની એકતા આખા ભારત માટે એક મિશાલ સમાન હતી.

સ્વતંત્રતા બાદ ભારતમાં વિવિધભાષી જનતાની અસ્મિતા બનાવી રાખવા માટે ભાષા અનુરૂપ રાજયોની સ્થાપના કરવામાં આવે તેવો વિચાર વહેતો કરવામાં આવ્યો. ૧૯૫૩માં કોંગ્રેસે હૈદરાબાદ અધિવેશનમાં ભાષા અનુસાર રાજયોની સ્થાપનાનો પ્રસ્તાવ પારિત કર્યો. બસ ત્યારથી ગુજરાતની આશાઓ બંધાઈ. ગુજરાતીઓએ સપના સજાવ્યા કે તેમનુ પોતાનું એક અલગ રાજય હશે, પરંતુ ગુજરાતની આશાઓ પર મોરારજીભાઈ  દેસાઇએ પાણી ફેરવી દીધુ કે બૃહદ મંુબઇ રાજયમાં મુંબઇ જેવા વિવિધભાષી શહેરને કોઇ એક રાજયનો હિસ્સો બનાવી શકાય નહીં. દેસાઇના આ વિચારથી ગુજરાતની જનતામાં રોષ ફેલાઈ ગયો. કેન્દ્ર સરકારે મધ્યનો રસ્તો કાઢતા મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત નામના ત્રણ રાજયો અને ત્રણેય માટેએક ઉચ્ચ ન્યાયાલયનો પ્રસતાવ રાખ્યો. આ પ્રસ્તાવથીં મહારાષ્ટ્રમાં ખોટો સંદેશ પહોંચ્યો. સાત ઓગસ્ટ ૧૯૫૬માં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર અને ગુજરાતના મતભેદોને જોતા ગુજરાત સહિત મુંબઇને દ્વિભાષી રાજય બનાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયથી ગુજરાતનુ સપનું સેવી રહેલા ગુજરાતીઓ પર વ્રજઘાત થયો, કારણ કે આ નિર્ણયથી ગુજરાતનું સ્વપ્ર તૂટી ગયું, અને બસ ત્યારથી શરૂ થયું મહાગુજરાત આંદોલન.

૧૦ ઓગસ્ટે સમાચાર પત્રોએ સ્પષ્ટ કરી દીધું કે મહાગુજરાત ચળવળ હવે અમદાવાદ સુધી સીમિત નથી રહ્યું. નડિયાદ, જૂનાગઢ, વડોદરા, સાયલા, ભાવનગર, ડાકોર, પાલનપુર, બોટાદ, સુરત, રાજકોટ, અમરેલી, પારડી, બાવળા, ભુજ, આણંદ સહિત આખા ગુજરાતમાં આ જંગની શરૂઆત થઇ.

અત્યારસુધી મહાગુજરાત ચળવળ એ નિશ્ચિત નેતૃત્વના અભાવમાં અલગ-અલગ રીતે ચાલી રહ્યું હતું. તેનાથી એક નિશ્ચિત દિશા આપવા માટે ૯ સપ્ટેમ્બરમાં ખાડિયા સ્થિત ઔદિચ્યની વાડીમાં સવારે મોટી ભીડ એકઠી થઇ અને ત્યાં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. જેના સંયોજક તરીકે બ્રહ્મકુમાર ભટ્ટ રહ્યાં પરંતુ અધ્યક્ષ પદની જવાબદારી તેજ તરાંર ભાષણ શૈલી માટે જાણિતા ઇન્દુલાલ યાજ્ઞિકને સોંપવામાં આવી. પરિષદની રચના બાદ ચળવળને જોરદાર વેગ મળ્યો. યાજ્ઞિકના ઉત્તેજક ભાષામાં ગુજરાતને સંગઠિત બનાવ્યું. પરિષદના નૈતૃત્વમાં અંદાજે ચાર વર્ષ સુધી આંદોલન ચાલતુ રહ્યું. ધરણા, પ્રદર્શન, સૂત્રોચાર, લાઠીચાર્જ, ગોળીબારમાં અનેકે પ્રાણની આહુતિ આપી તો અનેક ઇજાગ્રસ્ત થયા. અંતતઃ કેન્દ્ર સરકારે ૨૭ ઓગસ્ટ ૧૯૫૭માં લોકસભામાં દ્વિભાષી મુંબઇ રાજયમાંથી ગુજરાતને અલગ રાજય નિર્માણનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. લોકસભામાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને બહુમત હતી, તેથી જીવરાજ મહેતાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જયારે લોકસભાએ ગુજરાતના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી ત્યારે વિસનગર ખાતે મહાગુજરાત પરિષદની અંતિમ બેઠક બોલાવવામાં આવી અને તેને ભંગ કરી દેવામાં આવી.

૧૭ એપ્રિલ ૧૯૬૦એ મુંબઇથી વિશેષ ટ્રેનોમાં સચિવાલય કર્મચારીઓ, સેંકડો ટાઇપરાઇટર્સ, કાગળોના પાર્સલ વિગેરે અમદાવાદ લાવવામાં આવ્યા, ૧૯ એપ્રિલે લોકસભાએ મુંબઇ રાજય વિભાજનનો વિધેયક પારિત કરવામાં આવ્યો. ૨૩ એપ્રિલે રાજયસભાએ પણ તેને મંજૂરી આપીદીધી. રપ એપ્રિલે ગુજરાત મંત્રીમંડળની રચના કરવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ વિધેયકને મંજૂરી આપી. આંધ્ર પ્રદેશના મેહંદી નવાજ જંગને રાજયપાલ બનાવવામાં આવ્યા. ૩૦ એપ્રિલે જીવરાજ મહેતા સરકારના સ્વાગત માટે લાલ દરવાજા સરદાર બાગમાં જનસભા થઇ અને ૧ મે ૧૯૬૦ના રોજ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમમાં જીવરાજ મહેતાએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

સ્થાપનાઃ ૧ મે ૧૯૬૦

પહેલાનું પાટનગરઃઅમદાવાદ

હાલનું પાટનરગઃ ગાંધીનગર

રાજયગીતઃ જય જય ગરવી ગુજરાત

રાજયભાષાઃ ગુજરાતી

રાજય પ્રાણીઃ સિંહ

(1:01 pm IST)