Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પિતા-પુત્ર ખરાબ માનસિકતાવાળા :વિવિધ સભામાં શિકાર શોધતા :નારાયણ સાંઈને સજા બાદ પીડીતાએ કહ્યું, ધર્મના નામે ધતિંગથી લોકોથી બચવું જોઈએ

કોઈ ચોક્કસ આશ્રમમાં નહિ પરંતુ જ્યાં તક મળી જાય, જ્યાં કોઈ શિકાર હાથ લાગી જાય ત્યાં તેઓ મહિલા સાથે દુષ્કર્મ ગુજારતા

 

સુરતઃ નારાયણ સાંઈને સામે દુષ્કર્મની ફરિયાદ કરનારી પીડિતાએ જણાવ્યું કે, બંને પિતા-પુત્ર ખરાબ માનસિક્તા ધરાવતા હતા અને વિવિધ સભાઓમાં શિકાર શોધતા રહેતા હતા. આ કામમાં તેમની ખાસ સાધ્વીઓ તેમને મદદ કરતી હતી. પીડિતાએ કહ્યું કે ધર્મના નામે ધતિંગ કરતા લોકોથી બચીને રહેવું જોઈએ અને તેમની વાતોમાં ન આવવું જોઈએ.' 

  પીડિતાએ જણાવ્યું કે, 'અમારા માતા-પિતાની સાથે બાળપણથી જ આસારામના આશ્રમમાં આવતા-જતા હતા. અમારો પરિવાર તેમને પરમ ભક્ત હતો. જેમ-જેમ મોટા થયા તેમ અમારો આસારામ પરનો વિશ્વાસ વધતો ગયો હતો અને આ રીતે નારાયણ સાંઈના સંપર્કમાં આવ્યા હતા.' 

  આ ઘટના 2002થી 2004ની છે અને અમે 2013માં નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પછી મારા પતિ પર જીવલેણ હુમલો કરાયો હતો. આ ઉપરાંત, અનેક સાક્ષીઓની હત્યા પણ કરવામાં આવી હતી. પીડિતાએ કહ્યું કે, આ લોકો પૈસા અને ધાક-ધમકીના આધારે તેમની સામે થયેલી ફરિયાદો રદ્દ કરાવી દેતા હતા. 

  મહિલાઓને કેવી રીતે શિકાર બનાવતા હતા એ સવાલના જવાબમાં પીડિતાએ કહ્યું કે, "મહિલાનું બેકગ્રાઉન્ડ કેવું છે તે સૌથી પહેલા ચકાસતા હતા. મહિલાનું વ્યક્તિત્વ કેવું છે, તેની પાસે કેટલો પૈસો છે. મહિલા ગરીબ ઘરની હોય તો તેને પણ તેઓ ફસાવતા હતા. આ રીતે તેઓ પોતાનો ટાર્ગેટ શોધતા હતા."

  પીડિતાએ વધુમાં કહ્યું કે, "બાપ-બેટો બંને એક સરખા જ હતા. તેઓ કોઈ ચોક્કસ આશ્રમમાં આવું કૃત્ય કરતા ન હતા, પરંતુ જ્યાં તક મળી જાય, જ્યાં કોઈ શિકાર હાથ લાગી જાય ત્યાં તેઓ મહિલા સાથે દુષ્કર્મ ગુજારતા હતા. આ કામમાં તેમની સાધ્વીઓ અને સેવકો તેમને મદદ કરતા હતા. દરેક આશ્રમમાં જુદી-જુદી પદ્ધતિ અપનાવાતી હતી. જે આશ્રમમાં જે મહિલા પસંદ આવી જાય તો તેમના કેટલાક કોડવર્ડ ચાલતા હતા. તેઓ તેમની સાધ્વીને આ કોડવર્ડ જણાવતા હતા. પછી તેમની સાધિકાઓ એ મહિલાને જેમ-તેમ ફોસલાવીને તેમના સુધી પહોંચાડતા હતા."

 

(10:45 pm IST)